For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

NEETની પરીક્ષામાં 650થી વધુ માર્ક્સ અપાવવાનું ષડયંત્ર, સૂત્રધારની ધરપકડ

05:24 PM May 06, 2025 IST | Bhumika
neetની પરીક્ષામાં 650થી વધુ માર્ક્સ અપાવવાનું ષડયંત્ર  સૂત્રધારની ધરપકડ

રોયલ એકેડમીના ચેરમેન સહિત રાજકોટ,ધોરાજી,કર્ણાટક અને સુરતના પાંચ સામે ગુનો નોંધાયો: 30 લાખ આપ્યા છતાં વિદ્યાર્થી પ્રવેશ પરીક્ષામાં પાસ નહીં થતા કૌભાંડ ખુલ્યું

Advertisement

રાજકોટ સહીત ગુજરાતભરમાં લેવાયેલી નીટની પરીક્ષામાં 650 પ્લસ માર્ક્સ અપાવી દેવાની ગેરંટી લઈને રૂૂ.75 લાખથી 1 કરોડ સુધીની રકમના નક્કી કરી સૌરાષ્ટ્રમાં નામી સ્કૂલો ચલાવતાં સંચાલકો દ્વારા થયેલી છેતરપીંડી મામલે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાયા બાદ આ મામલે ક્રાઈમ બ્રાંચની ટીમે સુત્રધાર વચેટિયાની ધરપકડ કરી રોયલ એકેડેમીના સંચાલક રાજેશ પેથાણી સહિત રાજકોટ, ધોરાજી, સુરત અને કર્ણાટકના ટોળકીના સભ્યોની શોધખોળ શરૂૂ કરી છે. જેતપુરના વિદ્યાર્થીને નીટમાં સારા માર્કની લાલચ આપી 30 લાખ પડાવ્યાં હોવાનુ સામે આવ્યું છે.

જેતપુરમાં અમરનગર રોડ પર સોમનાથ સોસાયટીમાં રહેતાં તુષારભાઈ અરવીંદભાઈ વેકરીયા (ઉ.વ.40) એ નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે ધોરાજીના રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ રોયલ એકેડમીના ચેરમેન રાજેશ હરી પેથાણી, રાજસ્થાનના ઉદયપુરના ધવલ સંઘવી, રાજકોટના વિપુલ મૂળશંકર તેરૈયા તેના ભાઈ સુરત રહેતા પ્રકાશ મૂળશંકર તેરૈયા અને કર્ણાટક બેલગામ રહેતા સીબીએસસીના પરિક્ષાના કો-ઓર્ડીનેટર મનજીત જૈનનું નામ આપ્યું છે. ફરીયાદી તુષારે જણાવ્યું હતું કે, તેમને ધો.10 સુધીનો અભ્યાસ જેતપુર તેમજ રાજકોટમાં કોલેજનો અભ્યાસ કરેલ છે. તે જેતપુરના જેતલસર ગામમાં બોઇલના ગઠ્ઠા બનાવવાનુ તથા મશીન રીપેરીંગનું કામ કરે છે. વર્ષ 2024 માં તેમનો દિકરો દ્રિજ રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ રોયલ એકેડમીમાં ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતો હોય અને તેને એમબીબીએસ હોમિયોપેથી આયુર્વેદીક મેડિકલ પ્રવેશ (નીટ) પરીક્ષામાં સારા માર્ક અપાવવા હોય જે બાબતે રોયલ એકેડમી સ્કુલના ચેરમેન રાજેશ પેથાણીને વાત કરેલ હતી, તેઓએ વાત કરેલ કે, એવા એક ભાઈને હું ઓળખુ છુ, જે આવી પરીક્ષાઓમાં વધારે માર્ક અપાવવાનું કામ કરી આપે છે.

Advertisement

જેના માટે રૂૂ. 60 લાખ ખર્ચ થશે અને રાજેશ પેથાણીએ ધવલ સંઘવી સાથે વાત કરાવી ત્યારે તુષારભાઈએ ધવલને આટલા બધા રૂૂપિયાની સગવડ ન હોય તેમ કહેતા ધવલે અત્યારે દશ લાખ રૂૂપિયાની સગવડતા કરી રાખો બાદમાં વધ ઘટ હુ મારી રીતે જોઇ લઇશ જેથી તુષારભાઈએ પુત્રના ભવિષ્યને લઇ રૂૂપિયા આપવાનુ નકકી કરેલ અને રોયલ એકેડમી સ્કુલના ચેરમેન રાજેશ પેથાણીને રાજકોટમાં એપ્રીલ-2024 ના પ્રથમ વિકમાં રૂૂ.10 લાખ રોકડા આપેલ અને મહિનાના છેલ્લા વિકમાં રૂૂ. 20 લાખ રોકડા આપેલ હતા.રોયલ એકેડમી સ્કુલના ચેરમેન રાજેશ પેથાણી મારફતે ધવલ સંધવીને પોતાના દીકરાને એમબીબીએસમાં પ્રવેશ માટે નીટની પરીક્ષામા સારા માર્ક અપાવવા માટે કુલ રૂૂા.30 લાખ આપેલ હતા.

રોયલ એકેડમી સ્કુલના ચેરમેન રાજેશ પેથાણી મારફતે ધવલ સંઘવી સાથે વાત કરેલ હોય અને તેઓના કહેવા મુજબ દિકરાનું બેલગાવ કર્ણાટક ખાતે પરીક્ષા સેન્ટર આવે એટલે મેડિકલ પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરેલ ત્યારે બેલગાવનું કરન્ટ એડ્રેસ બતાવેલ હતું, જેથી પરીક્ષા સેન્ટર બેલગાવ આવેલ હતું. વર્ષ 2024 મેડિકલ પ્રવેશ માટેની નીટની પરીક્ષા આપવા માટે દિકરા સાથે બેલગાવ ગયેલ પરંતુ ધવલની વાત ઉપર વિશ્વાસ ન આવતા દિકરાને તેની રીતે જ પરીક્ષા આપવા માટે સમજાવેલ હતો. તેમના પુત્ર દ્રીજે આ પરીક્ષા કોઈપણ સેટીંગ વગર તેમની જાતે પરીક્ષા આપેલ જેમાં તેને 460 માર્ક્સ આવેલ જેથી રોયલ એકેડમી સ્કુલના ચેરમેન રાજેશ પેથાણી મારફતે ધવલ સંઘવી સાથે વાત થયેલ તે મુજબ કોઈ સેટીંગ થયેલ નહી અને પુત્ર દ્રીજને સારા માર્ક આવેલ નહી, તેથી આ પરીક્ષામાં સારા માર્ક માટે રોયલ એકેડમી સ્કુલના ચેરમેન રાજેશ પેથાણીને આપેલ રૂૂપિયા પરત માંગતા તેઓએ કહેલ કે, રૂૂપિયા તો ધવલને આપી દિધેલ છે, જેથી ધવલ સાથે ફોનમાં વાત કરેલ અને રૂૂ 30 લાખ પરત માંગતા ધવલે મને ઉપરથી પરત આવે એટલે તમને આપી દઇશ તેમ વાત કરી હતી.

તુષારભાઈએ આ બાબતે ધવલને અનેક વખત ફોન કરેલ પરંતુ તે ફોન ઉપાડતો ન હોય જેથી જુલાઇ-2024 માં તેમના ઘરે ઉદયપુર શોભાપુરા સર્કલ, રૂૂપરત્ન એપાર્ટમેન્ટ, અગીયારમા માળે ગયેલ અને ત્યાં તપાસ કરતા જાણવા મળેલ કે, ધવલ નાથદ્વારા શ્રીનાથજી ભગવાનના મંદીરે ગયેલ છે. જેથી ત્યાંથી નાથદ્વારા ગયેલ અને ત્યાં પણ ધવલ ભેગો થયેલ નહી અને ફોન કરતા ધવલ કોઇ સરખો જવાબ આપતો ન હતો.

બે મહીના બાદ પણ રૂૂપિયા પરત નહી મળતા તુષારભાઈએ રોયલ એકેડમી સ્કુલના ચેરમેન રાજેશ પેથાણીને મળ્યા હતા અને રૂૂપિયા પરત અપાવવા માટે વાત કરી ત્યારે રાજેશ પેથાણીએ ધવલ સંધવીને વાત કરેલ તો જણાવેલ કે, તેમણે આ રૂૂપિયા વિપુલ તેરૈયા તેમજ તેના ભાઈ પ્રકાશ તેરૈયાને આપેલ છે અને તેઓ રૂૂપિયા પરત આપતા નથી જેથી હું તમને રૂૂપીયા આપી શકતો નથી. થોડા દિવસ બાદ ધવલ સંધવી, વિપુલ તેરૈયા, પ્રકાશભાઈ તેરૈયા રાજકોટ રાજેશ પેથાણીની રોયલ એકેડમી ખાતે આવેલ અને તુષારભાઈને મળી રૂૂપિયા પરત આપવા માટે થોડો સમય માંગેલ અને છતાં ઘણો સમય વીત્યા છતાં રૂૂપિયા પરત નહી મળતા પોલીસ ફરીયાદ નોંધવી હતી.

પોલીસ કમિશ્નર બજેશ કુમાર ઝા,ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ બી.બી. બસીયાનીની સુચના અને માર્ગદર્શન હેઠળ પી.આઈ એમ.એન.ડામોર, પી.આઈ એમ.આર.ગોંડલીયા, સી.એચ.જાદવની ટીમેના પીએસઆઈ એ. એન.પરમાર અને પી.એસ.આઈ એ.એસ. ગરચરની ટીમે સુત્રધાર વચેટિયા રાજકોટના વિપુલ મૂળશંકર તેરૈયાની ધરપકડ કરી રોયલ એકેડમીના ચેરમેન રાજેશ હરી પેથાણી, રાજસ્થાનના ઉદયપુરના ધવલ સંઘવી, સુરત રહેતા પ્રકાશ મૂળશંકર તેરૈયા અને કર્ણાટક બેલગામ રહેતા સીબીએસસીના પરિક્ષાના કો-ઓર્ડીનેટર મનજીત જૈનની શોધખોળ શરૂૂ કરી છે.

ગુજરાતના વિદ્યાર્થીના આધારકાર્ડમાં ચેડાં કરનાર કોણ ?
ગત સપ્તાહે નીટની પરીક્ષા માટે ગુજરાતના આઠ વિદ્યાર્થીઓ પરિક્ષા આપવા કર્ણાટક ગયા હોય જે વિધાર્થીઓના આધારકાર્ડમાં ગુજરાતને બદલે કર્ણાટકના અલગ અલગ શહેરોના સરનામા બદલાવ્યા હતા. આ કૌભાંડમાં આધારકાર્ડમાં સરનામા બદલવા માટે કોણે મદદ કરી તે સહિતની બાબતો ઉપર ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. આધારકાર્ડમાં સરનામા કઈ જગ્યાએ બદલ્યા તેની તપાસમાં ચીટર ટોળકી સાથે સંપર્ક ધરાવતા કેટલાક ભેજાબાજો પણ સંડોવાયેલ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત અગાઉના વર્ષમાં લેવાયેલી નીટની પરિક્ષામાં આ ટોળકીએ કળા કરી હોય તે મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement