કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢતા પહેલાં દેશ ઉપર કરેલા ભ્રષ્ટાચારી કુશાસનની માફી માગી પ્રાયશ્ર્ચિત યાત્રા કાઢે : રાજુભાઇ ધ્રુવ
સ્વાતંત્ર્યના પ્રતીક તથા શહીદોના બલિદાનની યાદગીરી સમી તિરંગા યાત્રા માટે ઘરે ઘરે ઉત્સાહ, રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જાયો
કોંગ્રેસ પહેલા તેના 60 વર્ષના દેશમાં કુશાસનની માફી - પ્રાયશ્ચિત યાત્રા કાઢે તેમ ભાજપ પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે કોંગ્રેસની ન્યાય યાત્રા પર આકરો પ્રશ્ન કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યુ છે કે, ગુજરાત 30 વર્ષ અને દેશમાં 10 વર્ષના સુશાસનના શિલ્પી શ્રી નરેદ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે વિકાસ સાથે શાંતિ, સલામતી અને સમૃદ્ધિનું વાતાવરણ સર્જાયું છે તેથી કોંગ્રેસ હતાશ થઈ છે અને નિરાશામાં હવે ભારત સરખામણી બાંગ્લાદેશ સાથે કરી તેની તુષ્ટિકરણની માનસિકતા છતી કરે છે.
રાજુભાઇ ધ્રુવ વધુમાં કહ્યુ છે કે, ગુજરાતમાં 2022માં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વને સ્વીકારી 156 બેઠકો પર ગુજરાતમાં કમળ ખીલવનાર રાજ્યના લોકો હજુ ખેડૂતો પર ગોળીબાર કરનાર અને દલિતો વંચિતોને અન્યાય સમાન કોંગ્રેસી શાસનના અન્યાયને ભૂલ્યા નથી. ભગવાન શ્રી રામના અસ્તિત્વ ને પણ નકારનાર, ભારતની મહાન લોકશાહીને જેલમાં પુરી દેશને કટોકટી કાળના અંધકારમાં ધકેલનાર કોંગ્રેસને ન્યાય યાત્રા કાઢવા નો નૈતિક રીતે કોઈ અધિકાર નથી. કોંગ્રેસે તો ન્યાયયાત્રા હવે કાઢી,પરંતુ છેલ્લા પાંચ વર્ષથી તિરંગા યાત્રા ભાજપ કાઢે છે તેનો હેતુ રાષ્ટ્રભાવના દેશભક્તિ અને દેશની એકતા અખંડિતતાને મજબૂત કરવાનો છે.
સમગ્ર દેશમાં 8મી થી 15મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 8મી ઓગસ્ટ, ગુરુવારે સવારે પોતાના નિવાસ સ્થાનની અગાસીમાં તિરંગો લહેરાવીને આ અભિયાનમાં સ્વયં સહભાગી બનીને રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો તેમણે પ્રારંભ કરાવ્યો છે. ભાજપની તિરંગા યાત્રા માટે ઘરે ઘરે ઉત્સાહ જોવા મળે છે. દેશ માં દેશભક્તિ નો રાષ્ટ્રીય માહોલ સર્જાયો છે.
સમગ્ર ગુજરાતમાં આ હર ઘર તિરંગા અંતર્ગત અંદાજે 40 થી 50 લાખ તિરંગાનું વિતરણ થવાનું છે. રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપ સંગઠન ના મોભીઓ કેન્દ્રીય-રાજ્યના પ્રધાનો ,આગેવાનોના સથવારે રાજ્યના ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે.
આ વર્ષે હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા રેલી, ત્રિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કોન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી તેમજ તિરંગા મેલા જેવા બહુવિધ કાર્યક્રમો રાજ્યમાં યોજાવાના છે. આ હર ઘર તિરંગા અભિયાન 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે જન જનમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને દેશદાઝ જગાવનારું રાષ્ટ્ર ચેતના અભિયાન બને તેવી નેમ રાખવામાં આવી છે.