પેટા ચૂંટણી જાહેર થતા જ કોંગ્રેસ એકશનમાં, કડી-વિસાવદર માટે 4-4 પ્રભારી જાહેર
વિસાવદર માટે પૂંજા વંશ, ધાનાણી, ઇન્દ્રનિલ અને વશરામ સાગઠિયાની નિમણૂક
ગુજરાતમાં બે વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. ચૂંટણી પંચે કડી અને વિસાવદર બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરી છે, આગામી 19 જૂનના રોજ અહીં ચૂંટમી યોજાશે, અને 23 જૂનના દિવસે મતગણતરી હાથ ધરાશે. ખાસ વાત છે કે, બન્ને બેઠકો છેલ્લા કેટલાક સમયથી ખાલી પડેલી હતી. જોકે, પેટા ચૂંટણીની જાહેરાત થતા જ કોંગ્રેસ એક્શનમાં આવી છે, બન્ને બેઠકો પર પોતાના પ્રભારીઓની નિમણૂંક કરી દીધી છે.
ગુજરાતમાં બે કડી અને વિસાવદર બે બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત થતાં જ કોંગ્રેસ એક્શનમાં આવી છે, ગુજરાત કોંગ્રેસને પ્રદેશ અધ્યક્ષે પ્રેસ કોન્ફરન્સ યોજીને પેટા ચૂંટણી અંગે રણનીતિની માહિતી આપી હતી. શક્તિસિંહ ગોહિલે ચૂંટણીની જાહેરાત થતા જ કડી અને વિસાવદર માટે પ્રભારીની જાહેરાત કરી છે, કોંગ્રેસે કડી અને વિસાવદર બેઠક માટે કોંગ્રેસના 4-4 પ્રભારીની જાહેરાત કરી છે, જેમાં વિસાવદર બેઠક માટે પૂંજા વંશ, પરેશ ધાનાણી, ઈંદ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયાના નામો જાહેર કર્યા છે, જ્યારે કડી બેઠક માટે ગેનીબેન ઠાકોર, જિજ્ઞેશ મેવાણી, કિરીટ પટેલ અને રઘુ દેસાઈને પ્રભારી તરીકે જાહેર કર્યા છે. ચૂંટણીની જાહેરાતની સાથે જ કોંગ્રેસે એક્શન લીધી છે. શક્તિસિંહે આશાવાદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમે વિસાવદર અને કડી બન્ને બેઠક જીતવા માટે ચૂંટણી લડીશું.
કડી વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું ગત ફેબ્રુઆરી 2025માં અવસાન થયું હતું. ત્યારથી આ બેઠક ખાલી પડી છે. કડી બેઠકને ગુજરાત ભાજપનો ગઢ માનવામાં આવે છે. જોકે, આ વખતે કેવું પરિણામ આવશે તે તો મતદાન પછી જ ખબર પડશે.
વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે. જ્યારે કોંગ્રેસે હજુ પોતાનું પત્તું ખુલ્યું નથી પરંતુ ઉમેદવાર શોધવાની પ્રક્રિયા શરૂૂ કરી છે. આ ઉપરાંત, શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ લાલજી કોટડિયાના નામની જાહેરાત કરી છે. વિસાવદર બેઠકમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની કોઈ શક્યતા નથી, અને બંને પાર્ટીઓ અલગ અલગ મેદાનમાં ઉતારશે. આથી ચૂંટણી સ્પર્ધા વધુ તીવ્ર બનવાની છે. કોંગ્રેસ અને ભાજપ પણ આવતા કેટલાક દિવસોમાં પોતાના ઉમેદવારો જાહેર કરશે.