કોંગ્રેસ-આપનું ગઠબંધન આંધળા-લંગડાના ભેગા થવા સમાન, પાટીલની આકરી પ્રતિક્રિયા
આપ અને કોંગ્રેસના ગઠબંધન બાબતે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં તેમણે કહ્યું કે, ગુજરાતમાં લોકસભાની બે સીટ જીતવા આ નિર્ણય કરવામાં આવ્યો છે. કોંગ્રેસ અને આપ બંને દિવાસ્વપ્નમાં રાચે છે. વાસ્તવિક ભૂમિ પર આવવાની તેમની તૈયારી નથી. ચૈતર વસાવા કે આપને ભરૂૂચની સીટ પર ફક્ત 13 ટકા અને ભાજપને 51 ટકા મળ્યા હતા, કોંગ્રેસને 25-26 ટકા મત મળ્યા હતા. બન્નેના મત ભેગા કરીને તો પણ લગભગ 13 ટકા મત વધારે મળ્યા હતા. 7માંથી 4 વિધાનસભામાં આપની ડિપોઝીટ જમા થઈ હતી. ભરૂચ અને ભાવનગર લોકસભા જીતવા આપ પ્રયાસ કરી રહ્યું છે. ભાવનગર ભાજપની મજબૂત સીટ છે.
તેમણે કહ્યું કે, એક ગામમાં આગ લાગી ત્યારે આંધળા અને લંગળાએ ગઠબંધન કર્યું. આંધળો ચાલે અને લંગળો માથે બેસીને રસ્તો બતાવે અને તેઓ આગથી બચ્યા હતા. ત્યારબાદ બંનેએ મંદિર બહાર ભિક્ષા માગવાનું શરૂ કર્યું અને બંને પૈસા સરખાભાગે વેચતા હતા, પણ એક દિવસ આંધળાને એમ લાગ્યું કે લંગળાનું વજન વધે છે એટલે તે સરખો ભાગ પાડતો નથી. ત્યારબાદ બંનેનું ગઠબંધન તૂટ્યું હતું તેમ આપ અને કોંગ્રેસ બંને દિવાસ્વપ્ન જુએ છે.
126 બેઠકો પર આપની ડિપોઝીટ જપ્ત થઈ હતી. માત્ર 2 ઉમેદવારનું ગઠબંધન થયું તે જ બતાવે છે આપની તાકાત કેટલી છે. કોંગ્રેસે 44 સીટ પર ડિપોઝીટ ગુમાવી હતી. 2022માં વિધાનસભા ચૂંટણી બાદ ગુમ થયેલા લોકો હવે પરત આવે છે તેને લોકો જાણે છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતની દરેક લોકસભાની બેઠક 5 લાખ મતોના માર્જિન સાથે જીતવાની તૈયારી રાખે છે. આપ અને કોંગ્રેસનું ગઠબંધન સફળ થાય તેવું નથી લાગી રહ્યું. રાહુલ ગાંધી પહેલા ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા હતા તેની કોઈ અસર થઈ નહતી. હવે ન્યાય યાત્રા લઈને તેઓ નીકળ્યા, રાહુલ ગાંધી નેતૃત્વ કરી શકે નહીં તેવું કોંગ્રેસના લોકો માને છે.