ભાજપના ઉમેદવાર રૂપાલા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ
લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજકોટ લોકસભાની બેઠક પર ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા ચૂંટણી લડી રહ્યા છે. ત્યાારે બે દિવસ પહેલા જ ભાજપના ઉમેદવારે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટીપ્પણી કરી વિવાદ છેડ્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર સામે આજે કોંગ્રેસ દ્વારા હોલીકાદહન જેવા ધાર્મિક કાર્યક્રમમાં મંજુરી વગર હોર્ડિંગ્સ લગાવી ચૂંટણી પ્રચાર કરી આચારસંહિતા ભંગ કર્યાનીલેખીતમાં ફરિયાદ આપી છે.
લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ બે દિવસ પહેલા ક્ષત્રિય સમાજ વિશે ટીપ્પણી કરી હતી જેનો ઠેર ઠેરથી વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ મુદ્દે પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માગી હતી પરંતુ વિવાદ સમવાનો નામ નથી લેતો.
બીજીબાજુ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ હોલીકાદહન જેવા ધાર્મિક કાર્યક્રમને ચૂંટણી અખાડો બનાવી મંજુરી વગર રાજકોટમાં ઠેર, ઠેર પોતાના બેનર અને કટઆઉટ લગાવી ચુંટણી પ્રચાર કરી આચારસંહિતાનો ભંગ કર્યાની કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ રણજીત મુંઘવા અને નિલેશ ગોહિલ દ્વારા ચૂંટણી પંચને લેખીતમાં ફરિયાદ કરી પગલા લેવા માંગણી કરી છે.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ભાજપના ઉમેદવારે હોલીકાદહનના કાર્યક્રમમાં ધ્રુવનગર-1 એરપોર્ટ રોડ ઉપરથી લઈને હનુમાન મઢી ચોક, જલારામ-2, શિવસંગમ સોસાયટી સહિતના સ્થળોએ મંજુરી વગર હોર્ડિંગ્સો લગાવ્યા હોવાનું જણાવ્યું છે.