પ્રેમીપંખીડાંનો ફાંસો ખાઇ સજોડે આપઘાત
- પરિણીત યુવતી અને નર્સિંગનો છાત્ર સાત મહિનાથી મહિકામાં સાથે રહેતા હતા, આજે અચાનક જ એક સાડીના બન્ને છેડે લટકી ગયા, પતિને જાણ કરતા ફોન બંધ કરી દીધો
પરિવાર આપણા સંબંધો નહીં સ્વિકારે તેવા ડરથી પ્રેમીપંખીડાના આપઘાતના બનાવ અગાઉ બની ચુકયા છે ત્યારે વધુ એક બનાવ આજે રાજકોટ શહેરમાં બનવા પામ્યો છે. શહેરના મહીકા નામના પાટીયા પાસે રાધીકા પાર્કમાં રહેતા નર્સિંગના છાત્ર અને સાથે પરિણીત યુવતીએ આજે પોતાના ઘરે સાડીના બન્ને છેડે ગળે ફાંસો ખાઇ સજોડે આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ છે. બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા છે તેમજ બન્નેના પરિવારને જાણ કરવામાં આવી હતી.
વધુ વિગતો મુજબ મહીકાના પાટીયે આવેલા રાધીકા પાર્કમાં મકાન ભાડે રાખી રહેતા પ્રકાશ ચંદુભાઇ ખુમાણ ઉ.વ.26 (રહે.થોરાળા શેરી નં.5) અને લોઠડા ગામે રહેતી પરિણીત યુવતિ ભાવીશા ઉર્ફે ઉર્વશી મહેશભાઇ વાઘેલા ઉ.વ.22એ આજે પોતાના મકાનમાં સજોડે પંખામાં સાડી બાંધી ગળે ફાંસો ખાઇ લઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે આજુબાજુના લોકોએ આજીડેમ પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ ધરજીયા અને સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો અને બન્નેના મૃતદેહને સિવિલ હોસ્પીટલે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવની બન્નેના પરિવારને જાણ કરવામાં આવી હતી. ભાવિશાના પતિને બનાવની જાણ કરતા તેમણે મોબાઇલ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. પ્રકાશ બે બહેનનો એકનો એક ભાઇ હતો અને ત્રંબા નર્સીંગ કોલેજમાં નર્સીંગનો અભ્યાસ કરતો હતો. તેમના પિતા દરજીકામ કરે છે. તેમજ ભાવિષાને સંતાનમાં એક પુત્ર છે અને તેમના પતિ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બન્ને સાતેક મહીનાથી રાધીકા પાર્કમાં મકાન ભાડે રાખી રહેતા હતા. હાલ ભાવિશાના પોરબંદર રહેતા બહેનને બનાવની જાણ કરવામાં આવી છે.
આ બનાવ અંગે પોલીસને જાણવા મળ્યું હતું કે, પરિવારના સભ્યો આ સંબંધ નહીં સ્વીકારે તેવા ડરથી પ્રકાશ અને ભાવિશાએ સજોડે આપઘાત કરી લીધો હતો. બન્નેના મોતથી પરિવાર અરેરાટી ફેલાઈ જવા પામી છે.