11મી ફેબ્રુઆરીએ CM રાજકોટ જિલ્લાના પ્રવાસે: કરોડોના વિકાસ કામનું લોકાર્પણ
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્ય સરકારના આદેશથી વિકાસના કામો તાકીદે પૂર્ણ કરી તેનું લોકાર્પણ કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે ત્યારે રાજકોટ જિલ્લાના આટકોટ અને વિંછીયા પંથકમાં કરોડોના ખર્ચે વિકાસના કામો પૂર્ણ થઈ ગયા હોય જેનું આગામી 11મી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 11મી ફેબ્રુઆરીના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે આવી રહ્યાં છે સવારે સાડા નવ વાગ્યે ઈન્ટરનેશનલ હિરાસર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા આટકોટ અને વિંછીયાની મુલાકાત લેશે. આટકોટ ખાતે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા અતિ આધુનિક બસપોર્ટનું મુખ્યમંત્રી લોકાર્પણ કરશે અને ત્યારબાદ વિંછીયામાં વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. મુખ્યમંત્રીનાં બે કલાકના કાર્યક્રમ દરમિયાન આટકોટ અને વિંછીયાની મુલાકાત લીધા બાદ બપોરે 12 વાગ્યે મુખ્યમંત્રી પરત હિરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને ત્યાંથી સીધા જ વિમાન માર્ગે ગાંધીનગર જવા રવાના થવાના હોવાનું જાણવા મળ્યું છે.