સિવિલની લાલિયાવાડી, પેથોલોજી લેબ. 5 માસથી ફર્નિચરની રાહમાં
15 ખુરશી, 10 સ્ટ્રલ અને પાંચ કોમ્પ્યુટર ટેબલ માટે લખાયેલો પત્ર ટોપલીમાં, મોટા ઉપાડે ઉદ્ઘાટન કરી નાખ્યું પણ પાયાની સુવિધા જ નથી!
શહેર તેમજ જિલ્લાભરના હજારો દર્દીઓ માટે આશીર્વાદરૂપ શહેરની સિવિલ હોસ્પીટલમાં આંતરીક વિભાગોના સંબંધીતો વચ્ચે જરૂરી સંકલનનો ભારોભાર અભાવ ઉઘાડો થયો છે. પાંચ મહીના પહેલા ઉદઘાટીત થયેલી પેથોલોજી લેબોરેટરી માટે જરૂરી ફર્નીચર સહીતની સુવિધાની માંગણી સિવિલનાં ઉચ્ચ સત્તાધિશોએ નેવે ચડાવી દીધાની વિગતો મળી રહી છે.
આ અંગે વધુ જાણવા મળેલી વિગતો મુજબ શહેરની સિવિલ હોસ્પીટલમાંથી ઝનાના હોસ્પીટલ જુદી થતાં રૂમ નં.9માં કોમન કલેકશન સેન્ટર પેથોલોજી વિભાગને ફાળવાયું હતું.આવા સમયે એટલે તા.9/4/2024ના રોજ કહેવાય છે કે મેડીકલ કોલેજનાં પેથોલોજી વિભાગનાં એચઓડી ગૌરવીબેન ધૃવ દ્વારા ફટાફટ લેબોરેટરીનું ઉદઘાટન કરીને એકાબીજા સંબંધીતોના મો મીઠા કરાવી નવી સુવિધાનો આનંદ વ્યકત કરી લીધો હતો.
પણ આ જગ્યાએ મુળભુત ઉઠવા, બેસવા સહીતનાં ફર્નીચરની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું લાલીયાવાડી જેવું તંત્ર ભુલી જતાં લેબોરેટરીમાં ફરજ બજાવતા સ્ટાફની અહીં આવતા દર્દીઓની કફોડી હાલત સર્જાઇ હોવાની ફરીયાદો ઉઠી છે.
સિવિલ હોસ્પીટલ વર્તુળોમાંથી એવું પણ જાણવા મળ્યું હતું કે પેથોલોજી લેબોરેટરીમાં જરૂરી ફર્નીચર માટે પેથોલોજી વિભાગ (રૂમ નં.10, સેન્ટ્રલ કલેકશન સેન્ટર) દ્વારા તા.4/4/2024ના રોજ લેખીત માંગણી કરાઇ હતી. પણ આવી માંગણીની અરજી જાણે સંબંધીતોએ કચરા ટોપલીમાં ફેંકી દઇને સંકલનનો અભાવ પેદા કર્યો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.
કારણ આજે પાંચ પાંચ મહીના પછી પણ તબીબી અધિક્ષકે પેથોલોજી વિભાગની માંગણી સંતોષી ન હોવાથી ફરજ બરના સ્ટાફને ફરજ બજાવવામાં ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનો કચવાટ ફેલાયો છે.કહેવાનું તાત્પર્ય એ છે કે, પેથોલોજી લેબોરેટરીનું મોટા ઉપાડે ઉદઘાટન તો કરી દેવાયું પાયાની સુવિધાઓ ઉભી કરવામાં સંબંધીતોએ ગંભીર આળસ, ભુલ કરી હોવાનું કહેવું અનુચિત નથી.