ટ્રાફિક મુજબ સિટી બસ દોડશે: 101 બસના રૂટ બદલવા કવાયત
તમામ કોર્પોરેટરોને પોતાના વિસ્તારનો સરવે કરી રિપોર્ટ આપવા સ્ટેન્ડિંગ ચેરમેને સૂચના આપી
મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં બીઆરટીએસ રૂટ ઉપર અને શહેરના અન્ય માર્ગો ઉપર સીટી બસ દોડાવવામાં આવી રહી છે. બીઆરટીએસ રૂટ ઉપર દર 15 મીનીટે બસ ઉપલબ્ધ છે અને બસ્ટોપ પણ ફીક્સ કરેલા છે. પરંતુ સીટીબસના રૂટ ઉપર અમુક બસો ખાલી દોડતી હોવાની અને અમુક બસોમાં પેસેન્જર નિયમ કરતા પણ વધુ હોવાની ફરિયાદો ઉઠતા સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે તમામ કોર્પોરેટરોને પોતાના વિસ્તારમાં જે બસસ્ટોપ ઉપરથી વધુ પેસેન્જરો અવર જવર કરતા હોય તેની યાદી તૈયાર કરી રિપોર્ટ આપવાનીસુચના આપી છે. અને આગામી દિવસોમાં રિપોર્ટના આધારે સીટીબસના રૂટ ચેન્જ કરવામાં આવશે તેમ ચેરમેને જણાવ્યું હતું.
સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે, મેયર તમારે દ્વારે લોક દરબારમાં લોકોની મુશ્કેલીઓનું નિવારણ કરવામાં આવી રહ્યું છે. જેમાં અન્ય ફરિયાદોની સાથે સીટીબસની સુવિધા નથી અથવા જે બસ આવે છે તે ભરચક હોવાથી સમયસર ઓફિસે અથવા અન્ય સ્થળે પહોંચી શકાતુ નથી. આ ફરિયાદો ઉઠતા શહેરમાં દોડતી 101 સીટીબસના હાલના રૂટ અને તાજેતરમાં વધારવામાં આવેલ સ્ટોપ સહિતની વિગતો અધિકારીઓ પાસે માંગવામાં ાવી છે. તેવી જ રીતે દરેક કોર્પોરેટરોને તેમના વિસ્તારોમાં આવતી સીટીબસ તેના સમય મુજબના રૂટ અને જે પોઈન્ટ ઉપરથી વધારે પેસેન્જરો બેસતા હોય અને બસ ફુલે ફુલ જતીં હોય તેવા રૂટની બસનું લીસ્ટ સહિતની વિગતો માંગવામાં આવી છે. અને કોર્પોરેટરો દ્વારા પોતાના વોડમાં સર્વે કરી છેવાડાના વિસ્તારમાં વધુ બસની જરૂરિયાત હોય તો તેનો રિપોર્ટ તૈયાર કરી આપવાની સુચના દરેક કોર્પોરેટરને અપાય છે. અને આ રિપોર્ટના આધારે જે રૂટ ઉપર વધુ પેસેન્જર મુસાફરી કરતા હશે તે રૂટ ઉપર વધુ બસ ફાળવવામાં આવશે. તેમજ નવા રૂટ પણ લોકોની માંગણી મુજબ શરૂ કરવામાં આવશે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ ખાસ કરીને સવારના અને બપોરના સમયે વિદ્યાર્થીઓ અવર જવર કરતા હોય તેવા રૂટ ઉપર ખાસ ધ્યાન આપી વધારાની બસ દોડાવવામાં આવશે અને 101 બસ રૂટમાં ફેરફાર કરવામાં આવશે.