સિટીબસના ચાલક સામે સાપરાધ મનુષ્યવધ અને ટોળા સામે તોડફોડનો ગુનો નોંધાયો
રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે ગઈકાલે સીટીબસના ચાલકે ચાર લોકોને કચડી માર્યાની ઘટનામાં પોલીસે બસના ચાલક વિરુદ્ધ સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. જ્યારે આ ઘટના બાદ બસમાં તોડફોડ કરવા મામલે આશરે 20 લોકોના ટોળા વિરુદ્ધ પણ પબ્લીક પ્રોપર્ટીને નુક્શાન કરવા અંગે ગુનો નોંધ્યો છે. ચાર લોકોની જીંદગી છીનવી લેનાર સીટીબસના ચાલક પાસે લાયસન્સની તપાસ કરતા તેની મુદત બે મહિના પહેલા જ પુરી થઈ ગઈ હોય લાયસન્સ રિન્યુ કરવામાં નહીં આવ્યું હોય ત્યારે આ બાબતે એજન્સીના સંચાલકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે. મળતી વિગતો મુજબ રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે ગઈકાલે સવારે સીટીબસના ચાલકે અકસ્માતની હારમાળા સર્જી દીધી હતી અને આ અકસ્માતમાં બ્યુટી પાર્લરમાં નકરી કરતા સંગીતાબેન ધનરાજભાઈ ચૌધરી ઉ.વ.40, કિરણબેન ચંદ્રેશભાઈ કક્કડ ઉ.વ.56, મહાનગરપાલિકાના ઓડિટ વિભાગના ક્લાર્ક રાજુભાઈ મનુભાઈ ગીડા ઉ.વ.35 અને યુનિવર્સિટીના કર્મચારી ચિનમય હર્ષદરાય ભટ્ટ ઉ.વ.25નું કમકમાટી ભર્યુ મોત થયું હતું. જ્યારે આ અકસ્માતમાં કિરણબેનના પુત્રવધુ નેહા જીતભાઈ કક્ડ તેમજ રાજુભાઈ ગીડાના ભાણેજ વિરાજબા મહાવીરસિંહ ખાચર, સંગીતાબેનના કૌટુંબીક ભાઈ સુરજ ધર્મેશ રાવલ સાથે વિશાલ રાજેશ મકવાણા, હસમુખભાઈ ઓડેદરા અને સાનિયાબેન અજયભાઈ રાજગૌરને ઈજા પહોંચી હતી.
પ્રદ્યુમન પાર્કથી અટલ સરોવર તરફ જતીં મહાનગરપાલિકાની સીટીબસ નં. જીજે 03 બી.ઝેડ 466 એ અકસ્માત સર્જ્યો હોય જેમાં ડ્રાઈવર તરીકે રતનપરના શિશુપાલસિંહ રાણા હોવાનું જાણવા મળ્યું હતું. ટોળાએ આ ઘટના બાદ સીટીબસમાં તોડફોડ કરી હતી અને ડ્રાઈવર શિશુપાલસિંહ ઉપર હુમલો કરતા તેને સારવાર માટે ખસેડવો પડ્યો હતો. ડ્રાઈવર શિશુપાલસિંહે પોલીસને જણાવ્યું કે, બસ ચલાવતી વખતે બ્રેકને બદલે લિવર ઉપર ભુલથી પગ મુકી દેતા બસ બેકાબુ બની હતી. આ મામલે પોલીસે શિશુપાલસિંહ સામે શાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો. શિશુપાલસિંહની પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું કે, તેની પાસે ડ્રાઈવીંગ લાયસન્સ છે પરંતુ બે મહિના પૂર્વે જ તેની મુદત પુરી થઈ ગઈ હોય અને ડ્રાઈવીંગ લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યું ન હોય ત્યારે આ મામલે લાયસન્સ વિનાબસ હંકારવાની પરવાનગી આપનાર ડ્રાઈવર પુરા પાડતી મહાનગર પાલિકાની એજન્સી સામે પણ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાઈ છે. બીજી તરફ આ મામલે પોલીસ કર્મચારી અજયભાઈ ભીખાભાઈ ડાભીની ફરિયાદના આધારે આશરે 15થી 20 અજાણ્યા શખ્સોના ટોળા સામે રાયોટીંગ તેમજ સરકારી મિલ્કતને નુક્શાન કરવા અને ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.
અકસ્માતના બનાવ બાદ બેકાબુ બનેલા ટોળાએ તોડફોડ કરી હોય અને પોલીસ સ્ટાફ સાથે ઘર્ષણ કર્યુ હતું અને મૃતદેહોને તેમજ ઈજાગ્રસ્તોને ત્યાંથી લઈ જવા નહી દઈ અડચણ ઉભી કરી હતી. જે મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ અકસ્માતમાં ચાર પરિવારનો માળો વિખાયો છે. અકસ્માતનો ભોગ બનેલા મૃતક કિરણબેન ચંદ્રેશભાઈ કક્કડની કોટેચા ચોક નજીક શાંતિનીકેતન કોલોની ખાતેથી અંતિમ યાત્રા નિકળી હતી જ્યારે યુનિવર્સિટીના કર્મચારી ચિનમય ભટ્ટની હાથીખાના ખાતેથી અને મહાનગરપાલિકાના ક્લાર્ક રાજુભાઈ ગીડાની તેમના નિવાસ સ્થાન સત્યમ પાર્કથી અંતિમ યાત્રા નિકળી હતી. મૃતક સંગીતાબેનની અક્ષર માર્ગ ખાતેથી અંતિમ યાત્રા નિકળી હતી. આ બનાવમાં કેટલાક પરિવારે તેમના મોભી ગુમાવ્યા છે ત્યારે અંતિમ યાત્રામાં ભારે શોક જોવા મળ્યો હતો.