For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોટીલાના ઢોકળવા ગામે પ્રેમપ્રકરણનો કરુણ અંજામ રાજકોટના કોલેજિયન યુવાનની ઝેર પાઈ ટૂંપો દઈ હત્યા

12:28 PM Mar 07, 2024 IST | Bhumika
ચોટીલાના ઢોકળવા ગામે પ્રેમપ્રકરણનો કરુણ અંજામ રાજકોટના કોલેજિયન યુવાનની ઝેર પાઈ ટૂંપો દઈ હત્યા
  • વાડીએ ગયેલા યુવાનને છ શખ્સોએ બેરહેમીથી માર મારી પરાણે જંતુનાશક દવા પીવડાવી દોરીથી ગળેટૂંપો દીધો: રાજકોટ પોસ્ટમોર્ટમમાં હત્યા થયાનું બહાર આવતા નોંધાતો ગુનો

રાજકોટની સમરસ હોસ્ટેલમાં રહી કોલેજમાં અભ્યાસ કરતો ગઢવી યુવાન પરીક્ષા પૂર્ણ થતા વતન ચોટીલાના ઢોકળવા ગામે ગયો હતો ત્યારે ગામની જ યુવતિ સાથે તેને પ્રેમ સબંધ હોય જેનો ખાર રાખી યુવતિના પરિવારજનો દ્વારા યુવાનને વાડીમાં બેરહેમીથી મારમારી બળજબરીથી જંતુનાશક દવા પીવડાવી દોરીથી ગળેટુંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે.

Advertisement

આ ઘટના અંગેની જાણવા મળતી માહિતી મુજબ ચોટીલાના ઢોકળવા ગામે રહેતા એન રાજકોટની સમરસ હોસ્ટેલમાં રહી કોલેજમાં અભ્યાસ કરતા લાખાભાઈ કરશનભાઈ સાનાણી ઉ.વ.21 નામના ગઢવી યુવાનની ગઈકાલે સવારે વાડી પાસેથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતા પરિવારજનોએ પોલીસને જાણ કરી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટની મેડીકલ કોલેજમાં મોકલી આપ્યો હતો. જ્યાં મૃતક યુવાનને બળજબરીથી ઝેરી દવા પીવડાવી દોરીથી ગળેટુંપો દઈ હત્યા કરાયા હોવાનું બહાર આવ્યું હતું.

આ બનાવ અંગે નાની મોલડી પોલીસે મૃતક યુવાનના પિતા કરશનભાઈ ગોવિંદભાઈ સાનાણી ઉ.વ.55ની ફરિયાદ પરથી ઢોકળવા ગામે રહેતા રાજેશભાઈ માણસુરભાઈ મામૈયા, મુકેશ નરસીંગભાઈ મામૈયા, રવુભાઈ ખીમાભાઈ મામૈયા, ભાવેશ રતાભાઈ મામૈયા, વિપુલ સામતભાઈ મામૈયા અને લાખાભાઈ દિનેશભાઈ મામૈયાના નામ આપ્યા છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીના પુત્ર લાખાભાઈને ગામમાં જ રહેતા તેમની જ જ્ઞાતિના હાદાભાઈ મામૈયાની દિકરી સાથે છ માસથી પ્રેમ સબંધ હોય જેની જાણ યુવતિના પરિવારજનોને થઈ જતાં અગાઉ માથાકુટ થઈ હતી અને બન્ને પરિવાર એક જ જ્ઞાતિના હોય અને અંદરો અંદર સગા પણ થતા હોય અગાઉ બન્ને જ્ઞાતિના સભ્યોએ ભેગા મળી સમાધાન કરી લીધુ હતું.

Advertisement

ત્યાર બાદ તાજેતરમાં જ ગઢવી યુવાન રાજકોટથી પરીક્ષા પૂર્ણ થતા પોતાના ગામડે આવ્યો હતો અને આરોપીઓ દ્વારા તેને અવાર નવાર ધમકીઓ આપતા હતા ગત તા. 5-3-24ના લાખાભાઈને રાજેશ મામૈયાએ ફોન કરી સમાધાન માટે બોલાવ્યો હતો પરંતુ તે ગયો ન હતો અને વાડીએ જતો રહ્યો હતો.ગઢવી યુવાન વાડીએ હોવાની આરોપીઓને જાણ થતાં તમામ શખ્સોએ પૂર્વ યોજીત કાવતરું રચી બાઈકમાં વાડીએ ધસી ગયા હતા અને ઢવી યુવાનને વાડીના સેઢે બેરહેમીથી મારમાર્યા બાદ હાથપગ પકડી પરાણે જંતુનાશક દવા પીવડાવી દીધી હતી પરંતુ યુવાન તરફડિયા મારતો હોય આરોપીઓએ દોરીવડે ગળેટુંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ ઘટના ગઢવી યુવાનના પિતરાઈભાઈએ નજરે નિહાળી હતી રાત્રીના તમામ આરોપીઓ બાઈકમાં વાડીએ જવા નિકળ્યા હતાં ત્યારે પિતરાઈભાઈ પણ તેની પાછળ ગયો હતો અને વાડીમાં લાખાભાઈને આરોપીઓએ ઢીકાપાટુનો માર મારતા હતા તે નઝરે જોયુ હતું પરંતુ પિતરાઈભાઈને પણ બીક લાગતા તે ભાગીને ઘરે આવી ગયો હતો અને બીજા દિવસે સવારે લાખાભાઈની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી.આ બનાવ અંગે નાની મોલડી પોલીસે પૂર્વયોજીત કાવતરુ રચી હત્યા કરી પુરાવાનો નાશ કરવા અંગેનો ગુનો નોંધી વિશેષ તપાસ પીએસઆઈ એમ.કે. પરમાર સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement