આદિવાસી યુવકોને શ્રધ્ધાંજલિ પૂર્વે ચૈતર, અનંત પટેલ અને રાઠવા ડિટેન
સમગ્ર કાર્યક્રમને લઇને રાજકીય ધમાસાણ, પીડિત પરિવારના શ્રધ્ધાંજલિમાં ન જોડાવાના વીડિયો વાઇરલ કરાયા
કેવડિયા પાસે બની રહેલાં ટ્રાઇબલ મ્યુઝિયમની કામગીરી કરી રહેલાં કોન્ટ્રાકટરના માણસોએ બે સ્થાનિક આદિવાસી યુવાનોને ચોરીની આશંકાએ ઢોર માર મારતાં તેમના મોત થયાં હતાં. આ ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ મંગળવારે કેવડિયા બંધનું એલાન તેમજ મૃતકોને જાહેરમાં શ્રધ્ધાજંલિ આપવાનો કાર્યક્રમ આયોજીત કર્યો છે. ત્યારે કેવડિયા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આવતા ચૈતર વસાવાને દેડિયાપાડાના બોગજ ગામમાં પોલીસે રોકી લીધા હતા અને અનંત પટેલના ઘરે પોલીસે ધામા નાખી નજરકેદ કર્યા છે. તેમજ કોંગ્રેસ નેતા અને પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવા આજે કેવડીયા ખાતે જવાના હોવાથી કવાંટ પોલીસે તેઓને રસ્તામાંથી ડિટેઇન કર્યા હતા.
નર્મદા આદિવાસી મ્યુઝિયમમાં બનેલ ઘટના રાજકીય સ્વરૂૂપ ધારણ કરતી જઈ રહી છે. આજે 13 ઓગસ્ટના રોજ કોંગ્રેસ અને આપ દ્વારા કેવડિયામાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં રાજ્યભરના આદિવાસી આગેવાનો આવવાના હોય નર્મદા વહીવટી તંત્ર અને પોલીસ બંને કામે લાગી હતી. ત્યારે આ કાર્યક્રમ પહેલાં બન્ને મૃતકોના પરિવારે એક વીડિયો જાહેર કર્યો કે અમે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં અમે ઉપસ્થિત રહેવાના નથી. આ વીડિયો વાઈરલ થતાં નર્મદા જિલ્લામાં પુન: રાજકારણ ગરમાયું હતું.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને દેડીયાપાડા ખાતે અટકાવી લેવામાં આવતા દેડીયાપાડા ખાતે જ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કેવડીયામાં રાખવામાં આવેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમને પોલીસે પરમિશન ના આપતા અઅઙ અને કોંગ્રેસના આગેવાનોને પોલીસે ડિટેઇન કર્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાને કેવડિયા ખાતે જવા ન દેતા મૃતકોના ફોટો દેડીયાપાડા લીમડા ચોક ખાતે મૂકી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કર્યો હતો. આ સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના ઘરે પોલીસે ધામા નાખી તેમને નજરકેદ કર્યા છે. નાંદોદના પૂર્વ ધારાસભ્ય પી.ડી વસાવાને રસ્તામાં રોકવામાં આવ્યા હતા.
છોટા ઉદેપુર જિલ્લાના કોંગ્રેસી નેતા અને પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવા કેવડીયા ખાતે થોડાં દિવસ અગાઉ બે આદિવાસી યુવાનોના મોત થયા હતા તેઓના ઘરે આજરોજ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો હતો ત્યાં જવાના હોવાની જાહેરાત કરી હતી. જેને લઇને છોટા ઉદેપુર જિલ્લા પોલીસે ગઈકાલ રાતથી જ સુખરામ રાઠવાના ઘરે સિવિલ ડ્રેસમાં પોલીસ પહેરો ગોઠવીને નજર કેદ કરી લીધા હતા. પરંતુ આજે સવારે સુખરામ રાઠવા પોતાની ગાડીમાં બેસીને કવાંટ શાકભાજી લેવાના બહાને છટકી ગયા હતા અને કેવડીયા જવા માટે અંતરિયાળ ગામોના રસ્તેથી જતાં હતા અત્યારે વીજળી ગામ પાસે કવાંટ પોલીસની ટીમ દ્વારા તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેઓને કવાંટ વિશ્રામગૃહ ખાતે લાવીને બેસાડવામાં આવ્યા હતા.