જાતિનું પ્રમાણપત્ર બોગસ નીકળતા કાયદા વિભાગના કલાસવન અધિકારી ઘરભેગા
ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓના જાતી પ્રમાણપત્ર અંગે ખરાઈ કર્યા બાદ ખોટા પ્રમાણપત્રો રદ કરતાં વધુ એક કલાસ-1નાં અધિકારીની સેવા સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાયદા વિભાગમાં ઉપસચિવ તરીકે ફરજ બજાવતાં લક્ષ્મીબેન કટારીયાનું જાતિ પ્રમાણપત્ર બોગસ નીકળતાં સરકારે ઘર ભેગા કરી દીધા છે.
એક અઠવાડિયા પહેલા જ સુરત શહેર પોલીસના ડીવાયએસપી બી.એમ.ચૌધરીને બરતરફ કરાયા હતાં. બાદમાં આજે કાયદા વિભાગમાં ઉપસચિવ તરીકે ફરજ બજાવતાં લક્ષ્મીબેન સરમણભાઈ કટારીયાને તાત્કાલીક અસરથી સેવા સમાપ્ત કરવાનો નિર્ણય લેવાયો છે.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે લક્ષ્મીબેન કટારીયા વર્ષ 2014-15માં જીપીએસસીની પરિક્ષાના પરિણામ અને વેરાવળ મામલતદાર દ્વારા આપેલ જાતી પ્રમાણપત્રના આધારે અનુસુચિત જનજાતિ વર્ગમાં પસંદગી પામ્યા હતાં. બાદમાં તેમને અનુસુચિત જનજાતિના પ્રમાણપત્રની ખરાઈને આધીન પ્રમોશન આપીને હાલ કાયદા વિભાગમાં ઉપસચિવ વર્ગ-1ના કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યાં હતાં. તેમને રજૂ કરેલ તા.19-8-2006નું જાતિ પ્રમાણપત્ર વેરાવળ મામલતદાર દ્વારા તા.16-5-2025થી રદ કરાયું છે. જેને આધારે સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા લક્ષ્મીબેન સરમણભાઈ કટારીયાની સેવાઓનો તાત્કાલીક અંત લાવી નિમણૂંકની રૂએ લક્ષ્મીબેને ભોગવેલ અથવા મેળવેલ અન્ય લાભો પાછો ખેંચવાનો હુકમ કરવામાં આવ્યો છે.