જૂની ફરિયાદમાં સમાધાન માટે બોલાવી યુવક પર હુમલો કરી બે શખ્સોએ પગ ભાંગી નાખ્યો
મવડી વિસ્તારમાં રહેતાં મહેન્દ્રસિંહ પરમાર નામના યુવકને તેના મિત્ર હર્ષદ અને કાલી નામના શખ્સોએ ચા પીવા પુષ્કરધામ આવાસ કવાર્ટર પાસે બોલાવી એક વર્ષ પહેલાં થયેલ ફરિયાદના સમાધાનનું કહીં પાઈપથી મારમારતાં યુવાનને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકે આરોપીઓ પોલીસના મળતીયાઓ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. જોકે આ બનાવમાં પોલીસે યુવકની ફરિયાદ નોંધી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, મવડીમાં આવેલ ઉદયનગર-1 માં રહેતો મહેન્દ્રસિંહ અમરસિંહ પરમાર (ઉ.વ.21) ગઈકાલે રાત્રીના પોતાના ઘરે હતો ત્યારે તેને તેના મિત્ર હર્ષદનો ફોન આવેલ અને ચા પીવા માટે પુષ્કરધામ આવાસ કવાર્ટર પાસે આવવાનું કહેતાં યુવાન રાત્રીના નવ વાગ્યાની આસપાસ પુષ્કરધામ આવાસ કવાર્ટર પાસે ગયેલ હતો. ત્યાં હાજર હર્ષદ અને કાલીએ તેને એક વર્ષ પહેલાં યુનિવર્સિટી પોલીસ મથકમાં થયેલી મારામારી અને દારૂની ફરિયાદના સમાધાન માટે વાતચીત કરી હતી.આ વાત દરમિયાન બંને શખ્સો ઉશ્કેરાયા હતાં અને યુવક સાથે ઝઘડો કરી પાઈપથી બેફામ મારમાર્યો હતો.બાદમાં ગંભીર રીતે ઘાયલ થયેલ યુવકને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને બનાવની જાણ કરી હતી.વધુમાં યુવાને ગંભીર આક્ષેપ કર્યો હતો કે,તેમને એક વર્ષ પહેલાં યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં ત્યાંના પોલીસ કર્મીઓના નામ પણ હોવાથી તે કેસમાં સમાધાન માટે પોલીસ કર્મીઓએ બંને શખ્સોને મોકલ્યાનું તેમજ આ લોકો તેમના જ માણસો હોવાનું જણાવ્યું હતું.બનાવ અંગે હાલ પોલીસે ઈજાગ્રસ્તનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી. આ બનાવમાં પોલીસે મહેન્દ્રસિંહની ફરિયાદ પરથી હર્ષદ શાહબુદીન બેલીચ (રહે. હનુમાન મઢી) અને કાલી સામે ગુનો નોંધ્યો હતો.