આચાર્યોની ભરતી માટે તમામ જિલ્લાઓ પાસેથી માહિતી મગાવાઇ
રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ખાલી જગ્યાઓ ભરવા માટે 1 ઓગસ્ટના રોજ સત્તાવાર જાહેરાત બહાર પડનાર છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત બહાર પડે તે પહેલા ખાલી જગ્યાઓની વિગતો એકત્ર કરવાની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. જેમાં જિલ્લાઓમાંથી આચાર્યની ભરવાની થતી ખાલી જગ્યાઓની વિગતો મેળવવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં શિક્ષણ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વર્ષ દરમિયાન આચાર્યો અને શિક્ષકોની ભરતી માટે ક્યારે જાહેરાત બહાર પાડવામાં આવશે અને કેટલી જગ્યાઓ ભરવા માટે કાર્યવાહી કરાશે તે પણ નક્કી કરવામાં આવ્યું છે. જેમાં આગામી 1 ઓગસ્ટના રોજ રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવશે. આ ભરતી માટેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યા બાદ આચાર્યોની 1200 જેટલી જગ્યાઓ ભરવા માટેની કાર્યવાહી હાથ પર લેવામાં આવશે. આચાર્યોની જગ્યાઓ ભરવા માટેની કાર્યવાહી શરૂૂ કરવામાં આવે તે પહેલા જ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાંથી આચાર્યોની ખાલી પડેલી જગ્યાઓની વિગતો એકત્ર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પણ જિલ્લાની શાળાઓને પત્ર લખી આચાર્યની ભરવાપાત્ર ખાલી જગ્યાઓની વિગતો મંગાવવામાં આવી હતી. જેમાં 20થી વધુ સ્કૂલોએ આચાર્યની જગ્યા ખાલી હોવાની માહિતી મોકલી આપી છે. જે સ્કૂલોએ આચાર્યોની ખાલી જગ્યાઓની માહિતી મોકલી છે તે અંગેની યાદી પણ તૈયાર કરી દેવામાં આવી છે.જે સ્કૂલોનું નામ આ યાદીમાં નથી તેમને સુચના આપવામાં આવી છે કે આચાર્યની ખાલી જગ્યાઓની વિગતો કચેરીને મોકલી આપવી. જોકે, નક્કી કરવામાં આવેલી સમયમર્યાદા બાદ શાળા દ્વારા આચાર્યની ખાલી વિગતોની માહિતી મોકલવામાં આવશે તો તેને ધ્યાને લેવાશે નહીં તેમ પણ સુત્રોએ જણાવ્યું હતું. નોંધનીય છે કે, એકાદ વર્ષ પહેલા પણ આ જ રીતે આચાર્યની ખાલી જગ્યા માટે ભરતી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં અમુક સ્કૂલોની વિગતો મળી ન હોવાના લીધે તેમને આચાર્ય ફાળવવામાં આવ્યા ન હતા.