બસપોર્ટમાં એસ.ટી. બસની ઠોકરે અજાણ્યા મુસાફરનું કરુણ મોત
રાજકોટ શહેરના બસપોર્ટમાં અવાર નવાર અકસ્માતની ઘટના બને છે. ત્યારે આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. બસપોર્ટમાં સુરત-ભાણવડ રૂટની એસ.ટી બસના ચાલકે ઠોકરે લેતા એક વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતુ. આ બનાવની જાણ થતા એ-ડીવીઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તેજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બનાવની વિગતો અનુસાર, આજે વહેલી સવારે ચારેક વાગ્યે બસપોર્ટમાં પ્લેટ ફોર્મ નં.06/07 પાસે સુરત-ભાણવડ રૂટની બસના ચાલકે અકસ્માત સર્જી એક 70 વર્ષના વૃદ્ધને ઠોકરે લીધા હતા. આ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા થતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.
આ ઘટનાની જાણ પોલીસ કંન્ટ્રોલ રૂમમાં કરવામાં આવતા પીએસઆઇ કે.એમ.વડનગરાએ તુરંત એ-ડીવીઝન પોલીસમાં જાણ કરતાં પીએસઆઇ એમ.કે.મોવલીયા અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતાં. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો છે. તેમજ મૃતકનાં વાલી વારસની શોધખોળ શરૂ કરવા તજવીજ શરૂ કરી છે.
અકસ્માતને પગલે બસના ચાલક વિરૂદ્ધ કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરવામાં આવી રહી છે.