જામનગરમાં માફિયાઓના બાંધકામો ઉપર ફરી બુલડોઝર ત્રાટકયા
- નામચીન સાઇચા બંધુઓના ગેરકાયદે બંગલા સહિતના બાંધકામો તોડી પાડવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઓપરેશન
જામનગરમાં બેડીમાં સરકારી ખરાબા પર ખડકી દેવામાં આવેલા લેન્ડ માફિયા સાયચા બધુંઓના બે બંગલા પર આજ સવારથી જંગી પોલીસ કાફલા સાથે બૂલડોઝર ફેરવવાનું શરુ કરવામાં આવ્યું છે. કુલ 5500 ફૂટ જગ્યા પર ખડકી દેવામાં આવેલા બન્ને બંગલા તોડી પાડવામાં આવશે. જિલ્લા પોલીસ વડા, વહીવટી તંત્ર, જામ્યુકો તંત્રના અધિકારીઓનો કાફલો પણ સવારથી જ બેડી પહોંચી ગયો હતો, કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે મોટો પોલીસ કાફલો ઊતારવામાં આવ્યો હતો. સાયચા બંધુઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે. અને ખૂન સહીતના ગુના તેના નામે ચડેલા છે.
આજ સવારથી બેડી વિસ્તારમાં આવેલ રઝાક સાયચા અને સિકંદર સાયચાના ગેરકાયદે બંગલા ઉપર બે હિટાચી અને બે જેસીબી વડે તોડપાડ શરુ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ આ કામ થઈ રહ્યું છે. જેમાં સિટી મામલતદાર ઉપરાંત કોર્પોરેશનના એસ્ટેટના સુનિલ ભાનુશાળી, પાંચ પીઆઈ તેમજ પોલીસનો મોટો કાફલો આ બાંધકામ તોડવાની કાર્યવાહીમાં જોડાયો છે.પોલીસતંત્રની રાહબરી હેઠળ સાઈચાબંધુઓ દ્વારા 28 હજાર ચો.ફુટ જમીન ઉપર બાંધવામાં આવેલા 25 હજાર ફુટનો બંગલો, ઓફિસ, ભુંગા વિસ્તારની 10 ઓરડી અને એક હોટેલ સર્વિસ સ્ટેશન ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવેલ છે.
આ અગાઉ પણ એક બંગલો તોડી પડાયો હતો. આજ સવારથી તોડવાની કાર્યવાહી શરુ કરાઈ ત્યારે પોલીસનો જંગી કાફલો ગોઠવાયો હતો. લોકોના ટોળાં ઉમટી પડ્યાં હતાં. કોઈપણ જાતના અનિચ્છનિય બનાવ ન બને તે માટે જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા, એસપી પ્રેમસુખ ડેલુ, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીની સૂચનાનુસાર કલેકટર કચેરી હસ્તકની ખરાબાની જમીન દૂર કરવા માટે કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. આ પહેલામ પણ એક બંગલા પર બુલ ડોઝર ફરી વળ્યુ હતું. આ અગાઉ પણ આલિશાન બંગલો તોડાયો ત્યારે પણ પોલીસનો મોટા કાફલો ખડકી દેવાયો હતો. જો કે, આજે જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ આ પાડતોડ શરુ કરી દેવાઈ છે જે સાંજ સુધીમાં પૂરી થઈ જશે અને આશરે 5500 ફૂટથી વધુ ગેરકાયદે બાંધકામ જેસીબી વડે દૂર કરી દેવામાં આવશે.
વર્ષો પહેલાં સલાયામાં તત્કાલીન પોલીસ વડા સતીષ વર્મા દ્વારા મેગા ઑપરેશન ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને ગુનેગારો દ્વારા બાંધવામાં આવેલા સંખ્યાબંધ ગેરકાયદે બંગલાઓ ઉપર બૂલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ત્યારે જામનગર જિલ્લામાં ગેરકાયદે બાંધકામો તોડવા માટેનું સૌ પ્રથમ મોટું ઑપરેશન થયું હતું. તાજેતરમાં દ્વારકાના બેટ ખાતે પણ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન નીચે વહીવટી તંત્રની સાથે મળીને સંખ્યાબંધ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતાં અને ત્યારે પણ એવો સંકેત અપાયો હતો કે, દ્વારકા તથા જામનગર જિલ્લામાં જ્યાં પણ ગેરકાયદે બાંધકામ હશે તેને ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ તોડી પાડવામાં આવશે.
રજાક સાઈચા સામે 50થી વધુ ગુના
તાજેતરમાં રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરમાં સ્પષ્ટ શબ્દોમાં અસામાજિક તત્વોને છોડવામાં આવશે નહીં અને કુખ્યાત ગેંગનો ઉલ્લેખ કર્યો હતો. દરમ્યાન જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ શહેરમાં જુગારના અડ્ડાઓથી લઇને સામાન્ય લોકોને રંજાડી મારામારી, ખૂનની કોશિશ સહિતના ગુના આચરીને કહેર મચાવનાર કુખ્યાત રજાક સાઇચાના સરકારી જગ્યા પર બનેલા ગેરકાયદે બંગલા પર અગાઉ બુલડોઝર ફેરવવામાં આવ્યુ હતું, ત્યાર બાદ વધુ એક લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ દાખલ થતા અતિ કિંમતી બે બંગલા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. કુખ્યાત ગુનેગાર રજાક સાઇચા વિરુદ્ધ જામનગરમાં ખૂનની કોશિષ, રાયોટીંગ, વ્યાજ વટાવ, સરકારી કર્મચારી પર હુમલો, મકાન પચાવી પાડવા, આપઘાત માટે દુષ્પ્રેરણા, જુગાર, પ્રોહીબીશન જેવા અંદાજે 50 કરતા વધારે ગુનાઓ દાખલ થયેલા છે, આમ આ પ્રકારની અસામાજિક પ્રવૃતિઓ કરતા ગુનેગાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવતા ગુંડા તત્વોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને નાગરિકોમાં હર્ષ સાથે પોલીસ કામગીરીથી સંતોષની લાગણી પ્રસરી છે.