મનપાનો ટીપી વિભાગ હરકતમાં, અયોધ્યા ચોક પાસે બિલ્ડિંગ સીલ
માર્જિનની જગ્યા છોડ્યા વગર બાંધકામ કરી લેતા મનપાએ કાર્યવાહી હાથ ધરી
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા નિશ્રક્રિય થઈ ગઈ હતી. રૂટીન કામગીરી સિવાય અગત્યની અને જવાબદારી ફિક્સ થાય તેવું કામ કોઈ કરવા તૈયાર ન હતું તેવા સમયે મ્યુનિસિપલ કમિશનરે ટાઉન પ્લાનીંગ વિભાગનું વિભાજન કરી તમામ જવાબદારીઓ ઝોનલના સીટી ઈજનેરને સોંપવામાં આવી હતી. ત્યાર બાદ નવા ટીપીઓની નિમણુંક થતાં હવે ગાડી ધીમે ધીમે પાટે ચડી રહી છે અને ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી ગઈકાલે અયોધ્યા ચોક પાસે બે બાંધકામો સીલ કર્યા હતાં.
મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા વોર્ડ નં. 2માં એકજાન નગર વિસ્તારમાં અને વોર્ડ નં. 3માં અયોધ્યાચોક પાસે થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. આ બન્ને બાંધકામો માર્જીનની જગ્યામાં ખડકાતા હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ નોટીસ આપવામાં આવી હતી. જેની સમય મર્યાદા પૂર્ણ થવા છતાં આ બાંધકામો દૂર ન કરાતા મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ અને વીજીલન્સ વિભાગ દ્વારા ગઈકાલે બન્ને તૈયાર થઈ ગયેલ ઈમારતો સીલ કરી નોટીસ આપવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં વોર્ડ નં.2માં એકજાન નગર વિસ્તારમાં માર્જિનમાં વયોલેશન કરી, ગેરકાયદેસર બાંધકામ કરેલ હોઈ, તેમજ વોર્ડ નં.3માં અયોધ્યા ચોક પાસે ભોગવટા પરવાનગી મેળવ્યા બાદ વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ હોઈ, જેને આજ તા.23/08/2024ના રોજ બંને બિલ્ડિંગ સીલ કરવામાં આવેલ છે. (1) શ્રી ગંગાદાસ જોગરાણા (એકજાન નગર, મુક્દ્લ મકાનની બાજુમાં, ડો. સૈયદ બુરહાની માર્ગ) (2) શારદા સાનિધ્ય-2 (અયોધ્યા ચોક પાસે, 150 ફૂટ રિંગ રોડ)નું બાંધકામ સીલ કરવામાં આવ્યું હતું.