જામનગરમાં ટિફિન આપવા ગયેલી બાળાની ક્રૂર હત્યા
- જેનુ ખાધું તેનું જ ખોદ્યું, વૃદ્ધ ટ્રક ડ્રાઇવરે ખેલ્યો ખૂની ખેલ
- અગાઉ પત્નીને મોતને ઘાટ ઉતારનાર શખ્સે પાડોશીની માસૂમ પુત્રીના પ્રાણ હરી લીધા : ટિફિન આપવા ગયેલી માસૂમને છરીના 15 ઘા ઝીંકી વેંતરી નાખતા અરેરાટી, આરોપી ફરાર
જામનગરમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચીંથળેહાલ હોય જેની ચાડી ખાતી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ગત બુધવારે સમી સાંજે જામનગરમાં સિનિયર વકીલને ખુલ્લેઆમ મોતને ઘાટ ઉતારી દીધી બાદ સપ્તાહના માં જ હત્યાની બીજી ઘટના સામે આવી છે જેને લઈને સમગ્ર શહેર ભરમા ખળભળાટ મચી ગયો છે. જામનગરના રાજપાર્ક વિસ્તારમાં બાર વર્ષની બાળકીને પડોશી ટ્રક ડ્રાઇવર ઢગાએ બેરહેમીથી છરીના ઘા ઝીંકી પરલોક પહોંચાડી દેતા સનસનાટી મચી છે. હત્યાની જાણ થતાં જ જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ અને બનાવ સ્થળે દોડી ગયો હતો. બીજી બાજુ હત્યાના વારદાતને અંજામ આપી ભાગી છૂટેલા આરોપીને દબોચી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વકીલ હારુન પલેજાની હત્યાની શાહી હજુ સુકાણી નથી ત્યાં જામનગરમાં વધુ એક હત્યાનો બનાવ સામેં આવતા શહેરભરમાં સોંપો પડી ગયો છે.શહેરભરમાં સનસનાટી મચાવતી આ ઘટનાની વિગત એવી છે કે જામનગરના રાજપાર્ક વિસ્તારમાં રહેતા શાંતાબેન તેમજ રાજેશભાઈ કારાવદરા ટીફીનના કામ સાથે સંકળાયેલ હતો. આ દરમિયાન માતા પિતા શહેરના શરૂૂ સેક્શન રોડ પર પોતાના મકાનના સરકારી કામને લઈ કચેરીએ ગયા હતા. આથી બાળકી દ્રષ્ટિ કારાવદરા (ઉ.વ.12) તેના પાડોશમાં જ રહેતા લાલજી કૈલાશભાઈ પંડયા(ઉ.વ. 60)નામના ટ્રક ચાલકને ટિફિન આપવા માટે ગઈ હતી.
આ વેળાએ ટ્રકચાલક આરોપીએ કોઈ કારણસર બાળકી પર હુમલો કરી દીધો હતો. દયહીન આરોપીએ છરીના 15 જેટલા ઘા ઝીંકી દેતા માસુમ બાળકીની લોહીલુહાણ હાલત થઈ હતી. બાળકી પર હુમલો કરી આરોપી પલાયન થઇ ગયો હતો. બીજી બાજુ સરકારી કામ સબબ ગયેલા બાળકીના માતા-પિતાને જાણ થતા તેઓના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. જ્યા માતાપિતાના કરુણ રુદનથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.
બાદમાં 108 ની સ્ટાફને જાણ કરતા ટુકડીએ દોડી જઇ બાળકીને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચી હતી, પરંતુ ત્યાં તેણીનો માત્ર મૃતદેહ જ પહોંચ્યો હતો, અને ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરતા મામલો હત્યામાં પરિણમ્યો હતો. આથી પોલીસે દોડી જઇ મૃતદેહનો કબજો સાંભળી પીએમ અર્થે ખસેડવામાં સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ નિવેદનમાં મૃતક બાળકીના માતાપિતાએ જણાવ્યું કે હુમલાખોર આરોપી લાલજી કૈલાશભાઈ પંડયા જે પરિવાર સાથે વર્ષોથી સંબંધો રાખે છે, અને તેને જમવાનું પણ ટિફિન પહોંચાડતા હતા. દરમિયાન બપોરે દ્રષ્ટિ (12 વર્ષ) આરોપીને ટિફિન આપવા ગઈ હતી અને હત્યાનો ભોગ બની હતી. આરોપી લાલજી પંડાયએ અગાઉ પોતાની પત્નીની પણ હત્યા કરી હતી અને જેલવાસ ભોગવીને છૂટયો હોવાનું જાણવા મળે છે.
મકાન ભાડે અપાવ્યું, જમવાની વ્યવસ્થા કરી દીધી છતાં ગરીબ પરિવારની દીકરી છીનવી
મેર પરિવાર છેલ્લા બે વર્ષથી અહી ભાડાના મકાનમાં રહે છે. ટ્રક ચાલક તરીકે વ્યવસાય કરતા રમેશભાઈને કેન્સરની બીમારી હોવાથી તેઓના પત્ની પણ ઘરેથી ટીફીન સર્વિસ ચાલુ કરી હતી. વ્યવસાય દરમિયાન રમેશભાઈને આરોપી લાલજીથી ભેટો થયો હતો. આરોપી પણ ટ્રક ચલાવવાનો ધંધો કરે છે. મૂળ ખંભાલીયાના આરોપી લાલજીને રમેશભાઈ અઢી-ત્રણ વર્ષથી ઓળખતા હતા. જામનગરમાં પોતાના મકાનથી થોડે દુર ભાડાથી મકાન પણ રમેશભાઈ અને તેના પરિવારે શોધી આપ્યું હતું. આરોપી પોતે એકલો જ હોવાથી મેર પરિવારે શરૂૂઆતમાં પોતના ઘરે જમવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ બાદમાં લાલજી મોડો આવતો હોય અને વર્તન પણ સારું ન હોવાથી તેના ઘરે ટીફીન આપવાની વ્યવસ્થા કરી હતી. આરોપી જયારે ટ્રકમાંથી પરત આવતો ત્યારે મેર પરિવારની બાળકીઓ તેનો રૂૂમ સાફસુફ કરી આપતી અને ટીફીન પણ પહોચાડી આવતી. આરોપી લાલજી અગાઉ પાંચેક વખત બાળકીઓને ફરવા પણ લઈ ગયો હતો. જો કે ઘરે જમવાની પાડેલી ના મેર પરિવારને ભારે પડી હતી. આ અવમાનનાને મગજમાં ધરબી બેઠેલ લાલજીએ ગઈ કાલે અંત લાવી બાળકીને ક્રુરતા પૂર્વક પતાવી નાશી ગયો છે.ખંભાલીયાના આરોપી લાલજી પંડ્યાએ અગાઉ પોતાની પત્નીની પણ હત્યા કરી હોવાનું અને જેલવાસ ભોગવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ગુનાહિત માનસિકતા ધરવતા સખ્સોથી દુર રહેવું જોઈએ એમ આ ઘટના સમાજને શીખ આપે છે.