ઉધારી ભારે પડી: મોરબીના વેપારીઓના 600 કરોડ ફસાયા
મંદી અને નાણા ફસાઇ જતા ઘણા વેપારીઓએ કોલસાનો ધંધો બંધ કર્યોં: સૌથી વધુ પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સપ્લાય
ઉધારીમાં માલ નહીં આપવા અને ડિફોલ્ટરોના નામ જાહેર કરવા કોલસા એસો.ની બેઠકમાં નિર્ણય
મોરબી સહિત ગુજરાતમાં ઘણા ઉદ્યોગ ધંધા ઉધારીમાં કરવામાં આવતા હોય છે. પરંતુ છેલ્લા સમયગાળામાં મંદી સહિતની મુશ્કેલીઓના કારણે ઉધારમાં માલ આપનારા વેપારીઓના પૈસા સમયસર આવતા નથી, જેથી તેઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે આવા સમયે મોરબી કોલ એસો.ના સભ્યો દ્વારા અનેક શહેર , રાજયમા સપ્લાય થાય છે.
મોરબી જિલ્લામાં આવેલ નવલખી તથા કચ્છ જિલ્લાના મુન્દ્રા અને કંડલા પોર્ટ ઉપર ઇન્ડોનેશિયા કોલ (કોલસો) આવે છે અને ત્યાંથી મોરબીના કોલસાના વેપારીઓ દ્વારા માલની ખરીદી કરવામાં આવે અને ત્યારબાદ ગુજરાતના ભાવનગર, મહુવા, બરોડા, અમદાવાદ, હિંમતનગર, મોરબી સહિતના જિલ્લાઓમાં તેની સપ્લાય કરવામાં આવે છે.
તે ઉપરાંત જો અન્ય રાજ્યની વાત કરીએ તો મોરબીથી સૌથી વધુ કોલસો પંજાબ, હરિયાણા, એમપી, રાજસ્થાન, ચિત્તોડ, ભીલવાડા અને પાલી વિગેરે જગ્યા ઉપર સપ્લાય કરવામાં આવે છે. જોકે છેલ્લા વર્ષોથી જે રીતે કોલસાના વેપારીઓ દ્વારા ઉદ્યોગકારોને ઉધારીમાં કોલસો આપવામાં આવતો હતો. તે ઉધારમાં લાંબા સમય સુધી પૈસા છૂટતા ન હતા જેથી કરીને હવે ઉધારીમાં કોલસો ન આપવા માટેનો ના છૂટકે નિર્ણય લેવામાં આવ્યો છે.
મોરબી કોલ એસો.ના પ્રમુખ જીગ્નેશભાઈ કૈલાની આગેવાની હેઠળ તાજેતરમાં મોરબી કોલ એસો. સાથે જોડાયેલા 50 જેટલા વેપારીઓની બેઠક મળી હતી. જેમાં ઘણા મહત્વના નિર્ણય લીધેલ છે. જેમાં ખાસ કરીને અગાઉ મોરબીની આસપાસમાં કોલસાના ઉદ્યોગ સાથે લગભગ 175 થી 200 જેટલા વેપારીઓ જોડાયેલા હતા. પરંતુ છેલ્લા વર્ષોમાં મંદી અને નાણા ફસાઈ જવાના કારણે ઘણા બધા વેપારીઓએ કોલસાનો વેપાર બંધ કરી દીધો છે અને જો આવીને આવી પરિસ્થિતિ રહી તો આગામી દિવસોમાં હજુ પણ પરિસ્થિતિ વિપરીત થાય તેવી શક્યતાઓ છે.
જેથી કોલસાના વેપાર સાથે જોડાયેલ વેપારીઓ અને ઉદ્યોગ ટકી રહે તે માટે થઈને ઉધારમાં માલ ન આપવો અને જે લાંબા સમય સુધી પૈસા આપતા ન હોય તેવા ઉદ્યોગકારોને ફ્રોડ જાહેર કરવા માટેનું હિટ લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે. અગાઉ આસમાને પહોંચેલા કોલસાના ભાવ હાલમાં તળિયે આવી ગયા છે, તેમ છતાં પણ જે ઉદ્યોગકારો દ્વારા મોરબીના કોલસાના વેપારીઓ પાસેથી માલની ખરીદી કરવામાં આવતી હોય છે.
તેમના દ્વારા સમયસર રૂૂપિયા ચૂકવવામાં આવતા નથી, જેથી કરીને મોરબી કોલ એસો. દ્વારા ઉધારીમાં માલનું વેચાણ ન કરવું અને લાંબા સમયથી ઉધારીના પૈસા ન ચૂકવતા ઉદ્યોગકારોના નામ જાહેર કરવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવેલ છે.
મોરબીના વેપારીઓ દ્વારા જે કોલસાની સપ્લાય કરવામાં આવે છે, તેમાંથી મોટાભાગનો કોલસો સિરામિક ઉદ્યોગ, પેપર મીલ ઉદ્યોગ, નળિયા ઉદ્યોગ, લેમીનેટ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, ફર્ટિલાઇઝર સહિત જુદી જુદી અનેક જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. છેલ્લા વર્ષોમાં જે વેપાર કરવામાં આવ્યો છે, તેમા મોરબીના કોલસાના વેપારીઓના કુલ મળીને 600 કરોડથી વધુના નાણાં ફસાઈ ગયેલ છે. તેવી માહિતી મોરબી કોલ એસો.ના સભ્ય અને સિદ્ધિ કોલ નામથી વેપાર કરતાં નિશિતભાઈ અઘારા પાસેથી જાણવા મળેલ છે.
રોકડેથી માલની ખરીદી અને ઉઘારીમાં માલનું વેચાણ ?
મોરબી એપી ગ્રૂપના ડિરેક્ટર માતંગભાઇ પટેલે માહિતી આપતા કહ્યું હતું કે, અહીના કોલસાના વેપારીઓ નવલખી સહિતના ગુજરાતનાં પોર્ટ ઉપર આવતા ઇન્ડોનેશિયાના કોલની ખરીદી સ્પ્લાયર્સ પાસેથી રોકડા રૂૂપિયે કરે છે જો કે, તેઓની પાસેથી ઉદ્યોગકારો દ્વારા માલની ઉધારીમાં ખરીદી કરવામાં આવે છે. જો કે, અગાઉ માલ પંદર દિવસથી એક મહિનાની ઉધારીમાં આપવામાં આવતો હતો. પરંતુ ધીમે ધીમે મંદી સહિતના પરિબળોના લીધે ઉઘારીનો સમય લંબાતો ગયો છે અને આજની તારીખે ત્રણથી ચાર મહિના કે તેથી વધુ સમયગાળા સુધી પણ કોલસાના વેપારીઓને તેઓના બિલ ચૂકવવામાં આવતા નથી. જેથી હાલમાં કોલસાના વેપાર સાથે જોડાયેલા વેપારીઓનો કપરો સમય ચાલી રહ્યો છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.
કોલસાનો ભાવ, દૈનિક કેટલા ટનનો વેપાર ?
આજની તારીખે જો મોરબીના કોલસાના વેપારની વાત કરીએ તો દૈનિક 20,000 ટન કોલસાનો વેપાર મોરબીના વેપારીઓ દ્વારા કરવામાં આવે છે અને ઇન્ડોનેશિયા કોલનો ભાવ હાલમાં એક ટનનો 6,000 રૂૂપિયા છે જ્યારે લિગ્નાઇટ કોલસો જે સરકારી ખાણમાંથી આવતો હોય છે તેનો ભાવ 2,800 થી 2,900 રૂૂપિયા જેવો ચાલી રહ્યો છે અને દૈનિક 20,000 ટન કોલસમાંથી લગભગ 12,000 ટન કરતાં વધુ કોલસનો વાપરસ તો મોરબી જીલ્લામાં જ કરવામાં આવે છે.