પોકસો અને દુષ્કર્મ કેસની તારીખથી કંટાળી યુવકનો આપઘાતનો પ્રયાસ
સોમનાથ સોસાયટીમાં દંપતી વચ્ચે ઝઘડો થતા પરિણીતાએ ફિનાઇલ પીધું
શહેરમાં કેવડાવાડી વિસ્તારમાં રહેતા યુવકે પોકસો અને દુષ્કર્મ કેસની તારીખથી કંટાળી માસ્તર સોસાયટીમાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કેવડાવાડીમાં રહેતા જતીનગીરી દોલતગીરી ગોસ્વામી નામનો 35 વર્ષનો યુવાન સવારના સાડા અગીયારેક વાગ્યાના અરસામાં માસ્તર સોસાયટીના બગીચા પાસે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જતીનગીરી ગોસ્વામી વિરુદ્ધ વર્ષ 2020 માં પોકસો કેસમાં મદદગારી કર્યાના આરોપસર ધરપકડ થઈ હતી. જ્યારે વર્ષ 2023 માં મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જે બંને ગુનામાં જામીન મુક્ત થયેલા જતીનગીરી ગોસ્વામીએ કોર્ટ તારીખથી કંટાળી ઝેરી દવા પી લીધી હોવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કોઠારીયા રોડ ઉપર રણુજા મંદિર પાછળ આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતી પ્રિયાબેન સંતોષભાઈ પાટીલ નામની 32 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે પતિ સંતોષ પાટીલ સાથે નજીવા પ્રશ્ને ઝઘડો થતા તેણીને લાગી આવતા ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં તેણીના સાત વર્ષ પૂર્વે લગ્ન થયા હતા અને તેણીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.