મોરબીમાં મચ્છુ નદીમાં ઝંપલાવનાર બે યુવાનના મૃતદેહ મળી આવ્યા
મોરબીના મયુરપુલ પરથી મચ્છુ નદીમાં બે યુવાનોએ શુક્રવારે સાંજના સુમારે ઝંપલાવ્યું હતું જેથી મોરબી ફાયર ટીમે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં રાજકોટ ફાયર અને રાજકોટ SDRF ટીમની પણ મદદ લેવામાં આવી હતી અને 24 કલાક સુધી શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ના હતો અને શનિવારે મોડી રાત્રીના બંને યુવાનના મૃતદેહ મળી આવતા પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ ચલાવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ભડિયાદ રોડ પર રહેતા હર્ષદ બળદેવ પારધી (ઉ.વ.20) અને વિસીપરામાં રહેતો અનીલ કનુભાઈ ભંખોડીયા (ઉ.વ.27) એમ બંને યુવાનોએ મયુર પુલ પરથી મચ્છુ નદીમાં ઝંપલાવ્યું હતું શુક્રવારે સાંજના અરસામાં બંને યુવાનો નદીમાં કુદી ગયાની માહિતી મળતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને તરવૈયાઓએ સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું રાત્રી સુધી મથામણ છતાં કાઈ હાથ લાગ્યું ના હતું જેથી રાજકોટ ફાયર ટીમની મદદ લેવામાં આવી હતી અને વધુ મદદની જરૂૂરત પડતા રાજકોટ SDRF ટીમની મદદ લીધી હતી.
મોરબી-રાજકોટ ફાયર ટીમ અને SDRF રાજકોટ ટીમ દ્વારા સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન સતત 32 કલાક સુધી ચલાવવામાં આવ્યું હતું અને 32 કલાક કરતા વધુ સમયની મહેનત બાદ બંને યુવાનોને મૃતદેહ મળી આવ્યા હતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે અને બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
