ભાજપનું મનોમંથન પુરું, હવે ગમે ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત
- જૂનાગઢ-અમરેલીમાં મહિલાની શોધ, સુરેન્દ્રનગર-મહેસાણામાં પણ લાઈન ક્લીયર
ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની ચાર લોકસભા તથા પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગી અંગે સોમવારે મોડી રાત્રે મંથન કર્યું હતું અને બહુધા મોટાભાગના ઉમેદવારોની પસંદગી અંગે આખરી મંજૂરી મળતાં જ આગામી બે દિવસમાં તેની જાહેરાત કરી દેવામાં આવશે, તેમ જાણવા મળ્યું છે. સોમવારે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મહામંત્રી રત્નાકર નવી દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં કોર કમિટી અને ત્યાર બાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને મહેસાણા એમ ચાર લોકસભા માટે ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. આ ચારેય બેઠકો પર સામાજિક અને રાજકીય સમીકરણોને કારણે નામોની આખરી પસંદગી અટકી છે. જૂનાગઢ બેઠક પર ભાજપ વર્તમાન સાંસદ રાજેશ ચૂ઼ડાસમાને રિપિટ કરવા સામે કેટલાક કાનૂની મુદ્દાઓ નડી રહ્યા છે એના લીધે અહીં મામલો ગુંચવાયો છે ત્યારે ખેંચતાણ વચ્ચે ભાજપ હવે અહીં મહિલા ઉમેદવારની પસંદગી કરી શકે છે. કારડિયા રાજપૂત સમાજમાંથી ચહેરો હોઇ શકે છે તો મહેસામામાં જાણીતા શિક્ષણવિદ-દાનવીર પરિવારમાંથી કોઇને ટિકિટ આપવા માટે ભાજપ આગળ વધી શકે એવી શક્યતા જોવાઇ રહી છે. સુરેન્દ્રનગર અને અમરેલીમાં પણ આવી જરીતે રાષ્ટ્રીય નેતૃત્વ ઉમેદવાર પસંદ કરશે.
રાજ્યની વિધાનસભાની ખાલી પડેલી છ પૈકી પાંચ બેઠકો માટે પણ ચૂંટણી 7 મે, 2024ના રોજ સાથે મતદાન થવાનું હોવાથી તેમાં કમિટમેન્ટ મુજબ ભાજપ મોટાભાગના પૂર્વ કોંગ્રેસ, આપ અને અપક્ષ ધારાસભ્યોને જ ટિકિટ આપશે એમ સમજાય છે. આ પાંચ બેઠકોમાં પોરબંદર, માણાવદર, ખંભાત, વિજાપુર, વાઘોડિયા વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામુ આપી ભાજપનો ખેસ પહેર્યો છે, પરંતુ આ બેઠકની ચૂંટણી હાલ જાહેર થઇ નથી. આ બેઠકની ચૂંટણી પણ લોકસભા તથા અન્ય પેટા ચૂંટણી સાથે જ યોજવા માટે આમઆદમી પાર્ટી પછી આજે ભાજપે ચૂંટણી પંચને રજૂઆત કરી છે. ચાલુ સપ્તાહ સુધીમાં પંચ કોઇ નિર્ણય કરી સ્થિતિ સ્પષ્ટ કરી શકે એમ છે.