બપોર સુધીમાં 85% વોટિંગ કરાવી દેશો તો ભાજપ જીતી જશે: મનસુખ માંડવિયા
- સુરતમાં વસતા પોરબંદર મત વિસ્તારના લોકોના સ્નેહમિલનમાં ડોક્ટરે બતાવી દવા
પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા દ્વારા સુરતથી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. પોરબંદરના અને સુરતમાં રહેતા લોકોના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોરબંદર મત વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મનસુખ માડવિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, તમે બધા સ્વખર્ચે મતદાન કરવા પોરબંદર તમારા વતન પહોંચજો. તેમજ મતદાન કરી તમારા કાકા-કાકી, દાદા-દાદી, મામા-મામી સહિત તમારા પરિવારજનોને કહેજો કે મતદાન કર્યું? સવારે જ મતદાન કરી તમારા પરિવારજનો અને સગા-સંબંધીઓને મતદાન કરાવી તમારા ગામમાં બપોર સુધીમાં 80થી 85 ટકા વોટિંગ કરાવી દેશો તો ભાજપ જીતી જશે.
મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ 400 પારના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં પોતાની ભૂમિકા અને કર્તવ્ય ભજવવા માટે મંચ પરથી આવાહન કર્યું હતું. ભાજપ 370 લોકસભાની બેઠકો ઉપર વિજય મેળવશે અને એનડીએ 401 બેઠક મેળવી જંગી બહુમતી સાથે ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિજય થશે.મનસુખ માંડવિયાએ મતદારોને અપીલ કરી હતી કે, પોતાનું કર્તવ્ય સમજીને સ્વખર્ચે પોતાના માદરે વતન જઈને ચૂંટણી દરમિયાન પોતાનો મત આપજો અને બીજાને પણ મત અપાવવામાં તમારૂૂ યોગદાન આપજો. બપોર સુધીમાં 80થી 85% મતદાન કરાવવાનો પ્રયાસ કરજો. મતદાનના દિવસે લોકોને રૂૂબરૂૂ મળી વહેલામાં વહેલું મતદાન થાય તે માટે સમજણ આપજો. ચૂંટણીના દિવસે સતત સંપર્કમાં રહીને મતદાન કરાવજો. કારણ કે, ખૂબ જ ગરમીના દિવસો હશે અને આવા દિવસોમાં વધુ મુશ્કેલી પડશે. પોરબંદરથી રોજીરોટી માટે સુરત આવેલા મતદારોને યાદ કરતા સ્નેહમિલન સમારોહનું આયોજન કર્યું હતું. જેમને ચૂંટણી સમયે મતદાન કરવા માટે પોતાના માદરે વતન જવા માટે અપીલ કરી હતી. લોકોને ચૂંટણીના બે-ચાર દિવસ પહેલા જઈને પોતે પણ મત આપી અને બીજાને પણ ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે સમજાવવા અપીલ કરી હતી.