ભાજપ અનામતમાં ‘અનામત’નો અમલ કરવાના મૂડમાં નથી: વિનોદ ચાવડા
આ માત્ર સુપ્રીમ કોર્ટના જજની પેનલનો અભિપ્રાય છે, એસસી-એસટી સાંસદોની પી.એમ. મોદીને રજૂઆત બાદ ગુજરાત ભાજપના સાંસદનું નિવેદન
અનામતમાં ક્વોટાને લઈને ભાજપે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ આજે દાવો કર્યો હતો કે મિટિંગમાં પ્રધાનમંત્રી મોદીએ તેમને સ્પષ્ટ આશ્વત કર્યા હતા કે અનામતમાં ક્વોટા બાબતે ભાજપ કોઈ વિચાર કરી રહ્યો નથી. આ માત્ર સુપ્રીમ કોર્ટના જજની પેનલનો અભિપ્રાય છે.
ગઈ તારીખ 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં 7 ન્યાયમૂર્તિની પીઠે એસી-એસટી કેટેગરીમાં નવી સબ કેટેગરી ઉભી કરીને અતિ પછાતોને અલાયદો ક્વાટા આપવાનો આદેશ આપ્યો હતો. જેના દેશભરમાં પડઘા પડ્યા હતા. અલગ-અલગ સંગઠનોએ આને લઈને આગામી 21મી ઓગસ્ટના રોજ પભારત બંધથનું એલાન આપ્યું છે. જોકે કોઈ રાજકીય પાર્ટીએ પોતાનું વલણ હજી સ્પષ્ટ કર્યું નથી. દરમિયાન ભાજપે આ મુદ્દે પોતાનો પત્તા ખોલ્યા છે અને અનાતમાં ક્વોટા લાગુ કરવાના મૂડમાં નથી.
આજે સંસદભવન બહાર વિનોદ ચાવડાએ એક વીડિયો બનાવીને પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું પઆજે અમે સૌ સાંસદો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમાં તેમણે અમને સ્પષ્ટ આશ્વત કર્યા હતા કે ભાજપની કેન્દ્ર સરકાર કે કોઈ પણ રાજ્યની સરકાર આ અનામતમાં ક્વોટા કે ક્રિમિલેયર બાબતે વિચાર કરી રહી નથી. એ માત્રને માત્ર સુપ્રીમ કોર્ટના જજની પેનલની રાય અને વિચાર છે. દેશમાં કોંગ્રેસ અને વિપક્ષ એસસી અને એસટી વર્ગના લોકોને ગુમરાહ કરી રહી છે. અનામત દૂર કરવા માટેની અફવા ફેલાવી રહી છે. અમે સૌ સાંસદે મળીને વડાપ્રધાન મોદીને રજૂઆત કરી હતી.
સુપ્રીમ કોર્ટની 7 જજની બેન્ચે 6:1ની બહુમતી સાથે પોતાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) માટે ક્વોટાની અંદર ક્વોટા બનાવીને અનામત આપી શકાય છે.
હાલમાં દેશમાં અનુસૂચિત જાતિને 15 ટકા અને અનુસૂચિત જનજાતિને 7.5% અનામત મળે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી એસસી અને એસટી જાતિઓની આ જ 22.5 ટકા અનામતમાં રાજ્ય સરકારો એસસી અને એસટીના નબળા વર્ગો માટે અલગ ક્વોટા નક્કી કરી શકશે.
ઉલ્લેખનીય છે કે અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) ક્વોટામાં સબ કેટેગરી બનાવવાની તરફેણમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. હવે આ સૌની વચ્ચે એસસી/એસટી સમુદાયના લોકસભા તથા રાજ્યસભાના સાંસદોનું ટેન્શન વધી ગયું છે અને તેઓ સંસદ ભવનમાં જ પીએમ મોદીને મળવા પહોંચી ગયા હતા. આ તમામ સાંસદોએ સંયુક્તરૂૂપે એસસી/એસટી માટે ક્રીમીલેયર અંગે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી મામલે એક આવેદન સોંપ્યું હતું અને સાથે જ માગ કરી હતી કે આ ચુકાદો અમારા સમાજમાં લાગુ ન કરવો જોઈએ. તેના પર પીએમ મોદીએ તેમને આશ્વાસન આપ્યું કે હું આ મામલે વિચારીશ.
સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે એનડીએના સાથી લોજપા(રામવિલાસ) નેતા ચિરાગ પાસવાન અને રામદાસ અઠાવલેએ પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. ચિરાગ પાસવાને આ મામલે કહ્યું હતું કે અમારી લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) આ ચુકાદા સામે અપીલ કરશે.