ભાઈ-ભાભીની હત્યા કરનાર અપરાધીને જન્મટીપ
રાજકોટમાં આવેલા રણછોડનગર વિસ્તારમાં 10 વર્ષ પૂર્વે કચરો ફેંકવા મુદ્દે સગા ભાઈ-ભાભીની છરીના ઘા ઝીંકી હત્યા કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા હત્યારાને અદાલતે આજીવન કેદની સજા અને રૂા.15 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં આવેલા રણછોડનગરમાં રહેતા હરેશભાઈ મણીલાલભાઈ મણિયાર અને તેમની પત્ની પૂજાબેન હરેશભાઈ મણીયાર ગત તા.16-6-2013નાં રોજ પોતાના ઘરે હતા ત્યારે મધરાત્રિનાં નીચેના મકાનમાં રહેતા હરેશભાઈ મણિયારના નાના ભાઈ પ્રવિણભાઈ મણિયાર છરી સાથે ઉપરના માળે હરેશભાઈ મણિયારના ઘરે ધસી ગયા હતાં અને કચરો ફેંકવા મુદ્દે થયેલી રકઝકનો ખાર રાખી હરેશભાઈ મણિયાર અને સગર્ભા ભાભી પુજાબેન મણિયાર ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો થતાં જ ઉપરના માળે દેકારો થતાં નીચેના માળે સુતેલા આરોપી પ્રવિણ મણિયારના ભાઈ અરવિંદભાઈ મણિયાર જાગી ગયા હતાં અને ઉપરના માળે દોડી ગયા હતાં. જ્યાં જઈને જોતા હરેશભાઈ મણિયાર અને તેની પત્ની પૂજાબેન મણિયાર લોહીલુહાણ હાલતમાં પડયા હતાં અને હુમલાખોર પ્રવિણ મણિયાર જીવલેણ હુમલો કરી નાસી છુટયો હતો.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા દંપતિને તાત્કાલીક સારવાર માટે 108 મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે જ દંપતિએ દમ તોડી દીધો હતો. ભાઈ ભાભીની છરીના ઘા ઝીંકી કણપીણ હત્યા કરનાર પ્રવિણ મણિલાલભાઈ મણિયાર વિરૂધ્ધ અરવિંદભાઈ મણિયારે પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદનાં આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં પુરતા પુરાવા મળતાં તપાસ અધિકારીએ કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યુ હતું. જે કેસ ચાલવા ઉપર આવતાં આરોપી પ્રવિણ મણિયારના ભાઈઓ બહેનો હોસ્ટાઈલ જાહેર થયા હતાં અને પ્રવિણ મણિયારે પોતાના ભાઈ ભાભીનું ખૂન કર્યાનો ઈન્કાર કર્યો હતો પરંતુ ઘટના સમયે આઠ વર્ષની ઉંમરની અને હાલ 13 વર્ષની મૃતક દંપતિની પુત્રીએ જુબાની આપી સમગ્ર બનાવ અંગે વિસ્તૃત વર્ણન આપ્યું હતું. તેમજ સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આરોપીના બચાવ પક્ષે આરોપી માનસિક રીતે અસ્થિર હોવાનો બચાવ ત્યારે જ લઈ શકે જ્યારે તેણે ખૂન કર્યાનું કબુલવામાં આવતું હોય હાલના કેસમાં આરોપી પક્ષે જે બચાવ લેવામાં આવેલ છે તે વિરોધાભાષી છે. કારણ કે આરોપી માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા છતાં તેમણે ખૂન કર્યાનો ઈન્કાર કરવામાં આવે છે. આ ઉપરાંત આરોપીના ભાઈ બહેનો હોસ્ટાઈલ થયા છે. તેમની ઉલટ તપાસમાં આરોપી માનસિક રીતે અસ્થિર હોવાનો સ્પષ્ટ બચાવ લેવામાં આવે છે.
પરંતુ સગીર પુત્રી હોસ્ટાઈલ થયેલ નથી ત્યારે આરોપી માનસિક અસ્થીર હોવાનું જણાવવામાં આવતું નથી. સહિતની સરકાર તરફેની રજૂઆતોને ધ્યાને લઈ રાજકોટ પ્રિન્સીપાલ સેશન્સ જજ વી.ડી.ગોહિલે ભાઈ-ભાભીની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા અને રૂા.15 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે.વોરા રોકાયા હતાં.