કોર્પોરેશનમાં નાની ખરીદીમાં મોટી ગોલમાલ, ખાનગી રાહે તપાસ શરૂ
રાજકોટ મહાનગરપાલિકામાં મોટાભાગના કામો કોન્ટ્રાક્ટ પધ્ધતિથી કરવામાં આવે છે. મોટાપ્રોજેક્ટોને કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. પરંતુ અમુક વિભાગોમાં અધિકારીઓને રૂા. 50 હજાર સુધીની કોઈપણ વસ્તુની તેમજ અન્ય ખરીદી માટે સતા આપવામાં આવી છે. જેમાં અધિકારીઓ દ્વારા અથવા નીચેના કર્મચારીઓ મોટીગોલમાલ કરતા હોવાનું બહાર આવ્યું છે. થોડા સમય પહેલા લેપટોપ તેમજ વજનકાંટાની ખરીદી 10ગણા ભાવથી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું અને હવે ગાર્ડન વિભાગમાં જૂની તારીખોમાં નવાબીલ ઘુસાડી કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું બહાર આવતા ડે. કમિશનરે સમગ્ર બનાવના તપાસના આદેશ આપ્યા છે. આથી આગામી દિવસોમાં અનેકના તપેલા ચઢી જાવાની શક્યતા જોવાઈ રહી છે.
મહાનગરપાલિકાની નાની નાની ખરીદીઓમાં મોટા કૌભાંડો થતા હોવાનું અગાઉ પણ અનેક વખત બહાર આવ્યું છે. અધિકારીઓને રૂા. 50 હજાર સુધીની સત્તા આપવામાં આવી છે. જેનો ગેરફાયદો અમુક લેભાગુઓ કરી રહ્યા હોય તેવું ફરી એક વખત બહાર આવ્યું છે. ગાર્ડન વિભાગમાં જાવક ખર્ચ રજીસ્ટરના ખાના કોરા રાખીને તેમાં ઘણા સમય બાદ બીલ ઉધારી ગોટાળા કરવામાં આવતા હોવાની ફરિયાદ મ્યુનિસિપલ કમિશરને થઈ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. આ ફરિયાદમાં ગાર્ડન વિભાગમાં 50 હજાર સુધીનો ખર્ચ કરવાની સત્તા અધિકારી પાસે હોવાથી જાવક ખર્ચ રજીસ્ટરમાં ખાનામાં એન્ટ્રી કર્યા વગર કોરા મુકી દેવામાં આવે છે અને તેમાં છ માસ પછીના બીલોની નોંધ કરાતી હોવાનું જણાવવામાં આવ્યું છે. અને આ પ્રકારના કારસ્તાનો અન્ય વિભાગમાં પણ ચાલતા હોવાનું જણાવવામાં આવ્યું છે. થોડા સમય પહેલા વજનકાંટો અને લેપટોપની ખરીદી અને ઉંચા કોટેશન રજૂ કરી મોટાબીલ બનાવી મામુલી રકમમાં ખરીદી કર્યાનું બહાર આવ્યું હતું જ્યારે આ વખતે જાવક રજીસ્ટરમાં ખાના કોરા રાખીને પાછળથી બીલની એન્ટ્રી કરી દેતા હોવાનું બહાર આવ્યું છે.
મનપામાં અગાઉ આ પ્રકારની અનેક ઘટનાઓ બન્યા બાદ ફરી એકવખત ગાર્ડન શાખાના જાવક રજીસ્ટરમાં ખાના કોરા રાખી પાછળથી બીલ બનાવીનેબારોબાર વહીવટ કરી નાખવામાં આવ્યાનું બહાર આવ્યું છે. ગાર્ડન વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ અમુક સીરીયલ નંબર સુધીના ખાના ખાલી રાખવામાં આવે છે. ત્યાર બાદ ખરીદી થઈ હોય અને તે ભુલી જવાય હોય તેના બીલો પાછળથી ખાલી રાખેલા ખાનામાં મુકી બીલ મંજુર કરવા માટે મોકલી અપાતા હોય છે આ મુદ્દે હાલ બીએમસીને તપાસ કરવાના આદેશ અપાયા છે. અને ગેરરીતી બહાર આવશે તો કસુરવાર સામે કડક પગલા લેવાના આદેશ પણ કરવામા આવ્યા છે.
ઓડિટ વિભાગમાં પણ થઈ રહ્યા છે ઓવરબિલિંગના કૌભાંડ
મહાનગરપાલિકામાં થતાં તમામ કામોના બીલો મંજુરી માટે પ્રથમ ઓડીટ વિભાગમાં રજૂ કરવામા આવતા હોય છે. અધિકારીઓ દ્વારા બુદ્ધિ વાપરીને જે વસ્તુની ખરીદી કરવામાં આવી હોય તેના કરતા ઉંચા બીલો મુકવામાં આવતા હોવાનું અનેક વખત સ્ટેન્ડીંગની બેઠકમાં બહાર આવ્યું છે. દરખાસ્ત સમયે જે રકમ નક્કી કરવામાં આવી હોય તેના કરતા ઉંચી કીંમતે ખરીદી કર્યા બાદ બીલ મુકવામાં આવે છે. જેનો ખ્યાલ ઓડિટ વિભાગના અધિકારીઓને ન હોવાથી આ પ્રકારના ઓવરબીલ સ્ટેન્ડીંગમાં રજૂ થાય છે અને તપાસના અંતે ફીંડલુ વાળી દેવામાં આવતું હોય છે.