લોન મંજૂર કરતા પહેલાં બેંકોએ ચેક કરવું પડશે કે અગાઉ વેચાણ દસ્તાવેજ થયો છે કે નહીં
મકાન-દુકાન કે કોઈ પણ પ્રોપર્ટી ખરીદવા માટે કામ કરતી ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુરેટરી ઓથોરિટી રેરાએ હવે નવો નિયમ લાગુ કર્યો છે. રેરાએ બેંક એકાઉન્ટ નિયમો સંદર્ભે સુધારો જાહેર કર્યો છે. ત્યારે આ સુધારાથી ગ્રાહકોને શું ફાયદો થશે તે જોઈએ.
રેરાએ આ નવા હુકમમાં બેન્કોને આદેશ કર્યો છે કે, મોર્ગેજ સોદો કરતાં પહેલાં બેન્કોએ એ જોવાનું રહેશે કે જે એકમ માટે તેઓ લોન મંજૂર કરે છે તે એકમ માટે અગાઉ વેચાણ દસ્તાવેજ થઈ ગયો તો નથીને, મોર્ગેજ સોદો કરતાં પહેલાં બેન્કોએ સદર મિલક્ત ઉપર અગાઉ તો મોર્ગેજ સોદો રજિસ્ટર્ડ થયો છે કે કેમ તે ચેક કરવાનું રહેશે, જે તે મિલક્ત-એકમ માટે અગાઉ કોઈ બેન્કમાંથી લોન લેવાઈ તો નથીને એ પણ બેન્કોએ ચેક કરવાનું રહેશે.
તેમજ બેન્કોએ એ પણ ચેક કરવાનું રહેશે કે જે તે મિલક્ત કોઈપણ પ્રકારના લિયન, લોન કે થર્ડ-પાર્ટી અંકુશમાંથી મુક્ત છે. તદુપરાંત આ બેન્ક અકાઉન્ટ કોઈપણ સરકારી ઓથોરિંટી દ્વારા રેરાની મંજૂરી વગર ટાંચમાં લઈ શકાશે નહીં.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, રેરાએ આ સુધારો લાગુ કરવાનો મુખ્ય હેતુ એ છે કે, રેરાના ધ્યાને આવ્યું કે, એકની એક મિલકત અને યુનિટ પર એકતી વધુ બેંકમાંથી લોન લેવાઈ હોય છે. જેનો મુખ્ય હેતુ ગ્રાહક છેતરાય નહિ તેવો છે. બેંકો વધુ લોન મંજૂર કરતા સમયે ધ્યાન રાખે તે હેતુ મુખ્ય છે.
રેરાએ એવી પણ સૂચના આપી છે કે, બેન્કો જે તે મિલક્ત માટે લોન મંજૂર કરતી વખતે ગુજરેરાનું પોર્ટલ ચેક કરે. આ નવો સુધારો 14 ઓગસ્ટ, 2025 થી લાગુ કરાયો છે.