લક્ષ્મીવાડી વિસ્તારમાં રસ, ફ્રૂટના ટુકડા, બરફ અને ગોલા-કુલ્ફીના વેચાણ ઉપર પ્રતિબંધ
કોલેરાનો કેસ આવતા જિલ્લા મેજિસ્ટેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ
રાજકોટ શહેરના લક્ષ્મીવાડી શેરી નં. 20 વિસ્તારમાં શંકાસ્પદ કોલેરાનો એક કેસ નોંધાયેલ હોવાથી લક્ષ્મીવાડી શેરી નં. 20 પાસેના વિસ્તાર અને તેની આજુબાજુના 2 કિ.મી.ના વિસ્તારમાં જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રભવ જોષી દ્વારા નીચે મુજબના પ્રતિબંધો મૂક્યા છે. જે તા. 07-10-2024 સુધી અમલમા રહેશે. લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય અને રોગચાળો ફેલાતો અટકે તે હેતુથી લક્ષ્મીવાડી શેરી નં. 20 પાસેના વિસ્તાર તથા આજુબાજુના 2 કિ.મી. વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો, લારી -ગલ્લા, સ્ટોલ, શરડીના રસના સીસોડા, ફળોના ટુકડા કરી તેનું વૈચાણ કરવું તેમજ બરફ અને બરફમાંથી બનતી ખાદ્ય ચીજોના વેંચાણ પર પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત આ વિસ્તારમા નીચે મુજબની સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
બરફના કારખાનેદારોએ બરફ બનાવવા પીવાલાયક પાણી જ વાપરવુ, ખાદ્યપદાર્થ બનાવવા કે ઠંડા પીણા માટે બરફનો સીધો ઉપયોગ કરી શકાશે નહીં. પાણી મેળવવા માટે નળ કનેકશનના સ્થળે ખાડા ખોદી પાણી ન મેળવવું, મકાનોમાં પાણીની ટાંકી સાફ કરવી, વેપારીઓએ ફરસાણ, મીઠાઈ, ગોળ, ખજુર તથા અન્ય કોઈ ખાદ્યપદાર્થો ખુલ્લા ન રાખવા, શાકભાજી/ ફળફળાદીના ધંધાર્થીઓએ શાકભાજી કે ફળફળાદી કાપીને ખુલ્લા ન રાખવા કે તેવી વસ્તુઓનું ટુકડા કરી વેંચાણ ન કરવું. ખાણીપીણીના સ્થળોએ સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવવા.
લારી-ગલ્લાવાળા તેમજ દુકાનદારોએ ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે ઢાંકવા, કાચની પેનલ લગાવી અથવા માખી ન પ્રવેશી શકે તેટલી બારીક વાયરનેટ લગાવવી, તમામ ખાદ્યપદાર્થ પેપરડીશમાં જ પીરસવા.બરફ, ગોલા તથા ગુલ્ફીમાં માવાના વેંચાણ પર તાત્કાલીક પ્રતિબંધ મુકવામાં આવે છે. વાસી ખોરાક ઉપયોગમાં ન લેવો. જમતા પહેલા સાબુથી હાથ ધોવા. કોલેરાગ્રસ્ત વિસ્તારના તમામ પ્રાઈવેટ દવાખાના, લેબોરેટરીમાં નોંધાતા કોલેરાના કેસની માહિતિ દરરોજ આરોગ્ય અધિકારીને આપવાની રહેશે.