નડિયાદ નજીક રેલવે ટ્રેક ઉપર પથ્થરો મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ ખળભળાટ
નડિયાદ અને ગોઠાજ રેલવે સ્ટેશન વચ્ચે અંધજ ગામની સીમમાં રેલવે પાટા પર ગઈકાલે કોઈ અજાણી વ્યક્તિઓએ મોટા પથ્થર મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવતા રેલવે તંત્ર દોડતું થયું છે. નડિયાદ ગ્રામ્ય પોલીસે આ મામલે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
નડિયાદ અને ગોઠાજ રેલવે સ્ટેશન વચ્ચે અંધજ ગામની સીમમાં અમદાવાદથી વડોદરા તરફ જતી રેલવે ટ્રેક પર ગઈકાલે કોઈ અજાણી વ્યક્તિઓએ ટ્રેનને અવરોધવાના આશયથી પાંચથી સાત કિલો વજનના મોટા મોટા પથ્થર ગોઠવી દીધા હતા. આ દરમિયાન રેલ્વે ટ્રેક પર સાંજના સમયે પુરપાટ પસાર થતી માલગાડી સાથે અથડાવાથી પથ્થર તૂટી રેલવે ટ્રેકની આજુબાજુ પડયા હતા. જે અંગે માલગાડીના પાઇલોટે મહેમદાવાદ રેલવે સ્ટેશન ખાતે જાણ કરી હતી જેના પગલે રેલવેના વડોદરા ડિવિઝનના સેક્શન ઇજનેર નવીનકુમાર ગુલાબચંદ રંજન સહિતના રેલવે વિભાગના અધિકારીઓ તેમજ નડિયાદ રેલવે પોલીસ ટીમ અને આરપીએફ ટીમ પણ ત્યાં દોડી ગઈ હતી. આ બનાવ સંદર્ભે નડિયાદ ગ્રામ્ય પોલીસે આ મામલે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.