સોની વેપારીનું રૂપિયા 27.27 લાખનું સોનું લઈ કારીગર ફરાર
- 10 વર્ષથી જડતર કામ કરતા પરપ્રાંતના કારીગારને 460 ગ્રામ સોનું આપ્યા બાદ ભાગી ગયો : પ્રભુકૃપા જવેલર્સના માલિકે નોંધાવી ફરિયાદ
રાજકોટ શહેરમાં સોનીબજારમાં અનેક પરપ્રાંતિયો અને બંગાળી કારીગરો સોનાની મજુરી કામ કરી રહ્યા છે. ત્યારે અવાર નવાર સોની વેપારીનું સોનું લઈ પોતાના વતન કારીગર ભાગી ગયાની અનેકવાર ફરિયાદો પોલીસ ચોપડે નોંધવામાં આવે છે. ત્યારે વધુ એક પોલીસ ફરિયાદ એડીવીઝનમાં નોંધાઈ છે. આ ઘટનામાં પોલીસે આરોપીને પકડીલેવા તેમના વતનમાં તપાસ શરૂ કરી છે. વધુ વિગતો મુજબ શહેરના ભક્તિનગર સર્કલ પાસે ભક્તિનગર સોસાયટી મેઈન રોડ પર પ્રભુનામે મકાન ધરાવતા નિખિલભાઈ રાજેન્દ્રભાઈ રાણપરા નામના વેપારીએ પોતાની ફરિયાદમાં મુળ રાજસ્થાનના વતની અને હાલ રાજકોટમાં પ્રહલાદપ્લોટ આશાપુરા ડેરીની સામે શ્યામ અર્જુન નિવાસમાં રહેતા મનોજકુમાર મોહનલાલ શર્મા વિરુદ્ધ વિશ્ર્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવતા એડીવીઝન પોલીસ મથકના પીઆઈ આરજી બારોટ અને સ્ટાફે તપાસ શરૂ કરી છે.
નિખિલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે પેલેસ રોડ પર શિવ મહારાજ શેરી નં. 1માં પ્રભુકૃપા જવેલર્સ નામે શોરૂમ ધરાવે છે. અને ત્યાં તેમના પિતા રાજેન્દ્રભાઈ, કાકા મુકેશભાઈ, તેમનો પુત્ર પાર્થ એમ ચારેય પેઢી ધરાવી છેલ્લા 15 વર્ષથી સોનાના ઘરેણાનો વેપાર કરે છે તેઓ સોનાના દાગીનાનું વેચાણ કરવા માટે મનોજકુમાર શર્માને છેલ્લા 10 વર્ષથી ઓળખતા હોય તેમને સોનું આપી દાગીના બનાવડાવે છે. નિખિલભાઈએ ગઈ તા. 20 અને 21ના રોજ અલગ અલગ સમયે રૂા. 27.27 લાખનું સોનું દાગીના બનાવવા માટે મુકેશને આપ્યુ હતું. ત્યાર બાદ તેઓએ 22 તારીખે દાગીના પરત આપવાના હોય જેથી તેમનો સંપર્ક કરતા તેમનો મોબાઈલ સ્વીચઓફ આવતો હતો જેથી તેમના નિવાસ સ્થાને તપાસ કરવા જતાં ત્યાં તાળુ હતું અને મળી આવ્યો ન હતો. જેથી વેપારીએ એડીવીઝન પોલીસ મથકમાં સંપર્ક કરી પોતાની ફરિયાદ નોંધાવી હતી.