રિક્ષા-બાઇક વચ્ચેના અકસ્માતમાં તરુણનો ભોગ લેવાતા અરેરાટી
કાલાવડ નજીક હાઇવે પર અકસ્માત સર્જાયો
જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર એક રીક્ષા અને બાઈક વચ્ચે ગઈકાલે રાત્રે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક પર બેઠેલા 14 વર્ષના તરુણનું અંતરિયાળ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેના પિતરાઈ ભાઈ ને ઇજાવથઈ હતી. જે બનાવ અંગે રીક્ષાચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ પર રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા વિનુભાઈ મગનભાઈ નો 14 વર્ષનો પુત્ર તુષાર તેમજ તેનો પિતરાઈ ભાઈ સાહિલ કે જેઓ ગઈકાલે રાત્રે એક બાઈક પર બેસીને કાલાવડ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.
જે દરમિયાન સામેથી આવી રહેલી જી.જે. 10 ટી.ડબલ્યુ 6259 નંબરની રીક્ષા ના ચાલકે ઠોકર મારી દેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં તુષાર ને ગંભીર ઇજા થવાથી તેનું મૃત્યુ નિપજ્યું હતું, જયારે તેના પિતરાઈ ભાઈ સાહિલ ને ઇજા થઈ છે. જે બનાવ અંગે મૃતક તુષાર ના પિતા વિનુભાઈ સનુરા એ રીક્ષાચાલક સામે ફરિયાદ નોંધાવતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સટેબલ શોભરાજસિંહ જાડેજાએ મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.