BRTS બસ શેલ્ટર્સ, બસોમાં પાણીના જગ ORSની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઇ
ઓરેન્જ એલર્ટની પરિસ્થિતિમાં બસ શેલ્ટર્સ પર કુલર બાદ વધુ એક વ્યવસ્થા
રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા કરવામાં આવી રહેલ છે. જે સબબ કુલ 80 રૂૂટ પર 100 CNG તથા 124 ઇ-બસ એમ કુલ-224 બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અસહ્ય ગરમી અને તડકાની પરિસ્થિતિને પગલે પરિવહન કરતા શહેરીજનો માટે તમામ BRTS બસ શેલ્ટર્સ તથા તમામ સિટી બસમાં પીવાના પાણીના જગ તેમજ ORSની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. હાલમાં ઓરેન્જ એલર્ટની પરિસ્થિતિને ધ્યાને લઇ જાહેર પરિવહન સેવાના મુસાફરોને અસહ્ય ગરમીમાં રાહત મળે તે હેતુથી તમામ BRTS બસ શેલ્ટર્સ પર એર કુલર મુકવામાં આવ્યા છે ઉપરાંત પીવાના પાણીના જગ તેમજ ORS મુકવામાં આવેલ છે. તમામ સીટી બસમાં પીવાના પાણીના જગ તેમજ ORS પણ મુકવામાં આવેલ છે. આ ઉપરાંત ત્રિકોણબાગ ખાતેના સીટી બસ કંટ્રોલરૂૂમ ખાતે પણ ORS થતા પીવાના પાણીના જગ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.