ભાજપના ધારાસભ્ય જ કરાવે છે ધર્માંતરણ?
દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણનો ખેલ વર્ષોથી ચાલી રહ્યો છે. લાખો ભલાભોળા આદિવાસીઓને ધર્માંતરણ કરાવી નંખાયું છે. મોરારી બાપુ જેવા સંતો પણ આ મામલો ઉઠાવી ચુક્યા છે.ત્યારે જો કે સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીએ સમગ્ર મામલે વીડિયો અને ફોટા સાથે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી આદિવાસીઓનું ધર્માંતરણ થઈ રહ્યું હોવાનો દાવો કરતા ચકચાર મચી ગઇ છે.
સૌથી ચોંકાવનારી બાબત છે કે, ધર્માંતરણનો આ ખેલ ભાજપના જ એક ધારાસભ્ય ખેલી રહ્યા છે. કાજલ હિન્દુસ્થાનીએ કરેલા ટ્વીટ અનુસાર ધર્માંતરણની ઘટના વ્યારાની હોવાનો તેણે દાવો કર્યો છે. ઉપરાંત ધર્માંતરણના આ ખેલમાં ભાજપના જ ધારાસભ્ય મોહન કોંકણીની સંડોવણી હોવાનું જણાવ્યું છે.
સામાજિક કાર્યકર અને હિન્દુત્વવાદી નેતા કાજલ હિન્દુસ્થાનીએ દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓનું ધર્માંતરણ થતું હોવાના દાવા સાથેની એક પોસ્ટ કરી હતી. સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં તેણે કેટલાક વીડિયો અને તસ્વીરો પણ શેર કરી છે. જેના અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં દક્ષિણ ગુજરાતમાં મિશનરીઓ દ્વારા ધર્માંતરણનો ખેલ ઝડપથી વધી રહ્યો છે. આદિવાસી સમુદાયના સામાજિક સંગઠન દેવ બિરસા સેનાએ કહ્યું કે, પભાજપના ધારાસભ્ય મોહન કોંકણી ધર્માંતરણની આ રમત પાછળનાં મુખ્ય સૂત્રધાર છે.
સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીએ પોતાની પોસ્ટમાં ધારાસભ્યની વાત અને મંશા પર સવાલ ઉઠાવ્યા છે. ડિસેમ્બર 2024 નાતાલનાં પર્વનો આ વીડિયો હોવાની શક્યતા છે.
અગાઉ કથાકાર મોરારી બાપુએ પણ પોતાની કથા દરમિયાન આદિવાસી ધર્માંતરણનો મુદ્દો ઉઠ્યો હતો. તેમણે શિક્ષકોથી માંડીને સમગ્ર સિસ્ટમ દ્વારા પદ્ધતીસરના ધર્માંતરણ સામે સવાલો ઉઠાવ્યા હતા. જો કે ચૈતર વસાવા સમગ્ર મામલે ધર્માંતરણનો અને આડકતરી રીતે ભાજપના ધારાસભ્યનો બચાવ કરતા જોવા મળ્યા હતા.