સ્ટેશનરી-ગણવેશમાં શાળા સંચાલકોની મનમાની, વેપારીઓમાં આક્રોશ
- મળતિયાઓ સાથે મળી મોલ ઊભો કરી વાલીઓને લૂંટવાનો ખેલ માંડ્યાનો આરોપ: કલેક્ટરને આપેલું આવેદન
શિક્ષણનું વ્યાપારી કરણ વધતું જાય છે ત્યારે હવે શાળા સંચાલકો દ્વારા વેપારીઓને લુંટવાનો નવો ખેલ માંડ્યો હોવાની આજે સ્ટેશનરી એસોસીએશન દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. શાળા સંચાલક દ્વારા પોતાના મળતિયાઓને સાથે રાખી નાનામૌવા રોડ ઉપર પુસ્તકો, સ્ટેશનરી, યુનિફોર્મ અને સ્કૂલશૂઝનુું વેચાણ કરવા માટે મોલ બનાવવાનું નક્કી કર્યા હોવાની રજૂઆત કરી આ મુદે શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં આવેલી જુદી જુદી શાળાના સંચાલકો દ્વારા શિક્ષણનું વ્યાપારીકરણ કરી નાખ્યું છે. જેમાં શાળાના સંચાલકો દ્વારા સ્ટેશનરી માટે આપવામાં આવતું લીસ્ટ કે ગણવેશની ખરીદી માટે અમુક દુકાનદારોને જ કોન્ટ્રાક્ટ આપ્યા છે ત્યારે હવે તે કોન્ટ્રાક્ટ પણ શાળા સંચાલકો છીનવી લેવા માટે નાનામૌવા રોડ ઉપર વિદ્યાર્થીઓને તેમની શાળાના પુસ્તકો, સ્ટેશનરી, સ્કૂલ સૂઝ તે સહિતની તમામ સ્કૂલચીજો મળી રહે તે માટે મોલ ઉભો કરી રહ્યા છે અને હાલમાં પુષ્કરધામ, જે.કે. ચોક, યુનિવર્સિટી રોડ ઉપર તેનું ટેમ્પરી વેચાણ પણ ચાલી રહ્યું છે. સ્ટેશનરી એસોસીએસન દ્વારા રજૂઆતમાં જણાવ્યું હતું કે, રાજકોટની કેટલીક ખ્યાતનામ કહી શકાય તેમ શાળાના સંચાલકો દ્વારા પોતાના મળતિયાઓની સાથે મળી વિદ્યાર્થીઓ માટે પુસ્તકો, સ્ટેશનરી, યુનિફોર્મ તથા સ્કૂલ સૂઝનું વેચાણ કરવા માટે નાનામૌવા રોડ ઉપર એક મોલ બનાવવાનું નક્કી કર્યુ છે જેનો વિરોધ કરવામાં આવ્યો હતો.
દરેક શાળા તેમના બુક લિસ્ટની યાદી પ્રકાશનના નામ સાથે શાળા ખુલ્યાના એક મહિના પહેલા નોટીસ બોર્ડ ઉપર જાહેર કરે કોઈપણ શાળા તેમના નામ છાપેલી નોટબુક અને અન્ય સાહિત્ય છપાવવાનું બંધ કરે શાળા સંકુલમાં કોઈપણ જાતની વ્યાપારીક પ્રવૃતિ બંધ કરે તેમજ કોઈપણ શાળા તેમના પુસ્તક કે યુનિફોર્મ માટે ચોક્કસ વેપારીના નામની ભલામણ ન કરે તેવી રજૂઆત કરી હતી.
વિદ્યાર્થીઓને હિતમાં આવી પ્રવૃતિઓ બંધ કરાવવા માંગણી કરવામાં આવી છે.
સ્ટેશનરીની દુકાનમાંથી વ્યાજબી ભાવે ખરીદી કરી શકે અને જો આવી પ્રવૃતિ બંધ નહીં થાય તો રાજકોટમાં આવેલ લગભગ 500 જેટલી સ્ટેશનરીની દુકાનોને તાળા મારવાનો સમય આવશે અને અનેક પરિવારોની રોજીરોટી છીનવાઈ જશે તેવી રજૂઆત કરી હતી.