દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટાઉન પ્લાનરની કાયમી ગેરહાજરીથી અરજદારો ત્રાહિમામ
જામનગરમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લો અલગ થયેલ 11 વર્ષ થી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ અહીં સરકાર દ્વારા ટાઉન પ્લાનિંગ કચેરી હજુ સુધી શરૂૂ કરવામાં આવી નથી. અહીંના ઇન્ચાર્જ ટાઉન પ્લાનર ઘણા દિવસથી હાજર ન મળતા અરજદારોને ધરમના ધક્કા થતા વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. સતત વિકસી રહેલા દ્વારકા જિલ્લા માટે સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટ તેમજ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવે છે. ખાસ કરીને યાત્રાધામ દ્વારકામાં કોરિડોર પ્રોજેક્ટને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકાર દ્વારા ટાઉન પ્લાનિંગ કચેરી ખોલી તો નાખી છે, પરંતુ જામનગરથી થતી કામગીરી વચ્ચે અહીં આવતા અધિકારીઓ - કર્મચારીઓ સંપૂર્ણપણે નિરાશ બની રહેતા હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. આશરે ચારેક માસ અગાઉ શરૂ કરવામાં આવેલી કચેરીમાં આશરે પખવાડિયા પૂર્વે ટાઉન પ્લાનર તરીકે અન્ય જિલ્લાના કર્મચારીની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ તેઓ હજુ સુધી અહીં મળતા ન હોવાથી અરજદારોને ધક્કા થઈ રહ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમને તેમજ અન્ય લોકોને પણ પોતાના પ્લાન મંજૂર કરાવવાની તથા અન્ય વહીવટી કામગીરી અટકી જતા પ્લાનિંગના અરજદારો ખૂબ જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. દ્વારકામાં કોરીડોર પ્રોજેક્ટ તેમજ વિકાસની અન્ય કામગીરી માટે સરકાર દ્વારા આ કચેરી શરૂૂ કરવામાં આવી છે. જેમાં મુખ્ય ભૂમિકા નગર નિયોજક કચેરીની રહે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટની ગતિ પણ મંદ પડી રહી હોવાનું જોવા મળે છે. રાજ્યના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અન્ય જિલ્લાઓમાંથી આવતા અધિકારીઓ - કર્મચારીઓ માટે અવર-જવર વિકટ બની રહી હોવાથી આ જિલ્લામાં સરકારી કર્મચારીઓ નિયમિત રીતે પ્રજાલક્ષી ફરજ નિભાવે એવા પગલા હાલની પરિસ્થિતિમાં જરૂરી છે.