ઈગલ ટ્રાવેર્લ્સના બે માલીકની 28 કરોડની ટેક્ષ ચોરીના ગુનામાં આગોતરા જામીન અરજી રદ
82 વર્ષના મહિલા આરોપીને ઉમરનો લાભ આપવાની રજૂઆત નકારતી ખાસ અદાલત
ઈગલ ટ્રાવેર્લ્સના માલિકોની રૂૂા.28 કરોડની ટેક્ષ ચોરીના કેસમાં કોર્ટે આગોતરા જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે. આ કેસની હકિકત મુજબ ઈગલ મોટર્સ પ્રા.લી. નામની કંપની રસીકભાઈ બાવરીયા (ગોળવાળા), મનિષભાઈ રસીકભાઈ બાવરીયા, જયેન્દ્ રસીકભાઈ બાવરીયા, દિનેશભાઈ રસીકભાઈ બાવરીયા અને કંચનબેન રસીકભાઈ બાવરીયાએ વર્ષ-2005 માં સ્થાપેલ હતી. સ્થાપનાના બે વર્ષ બાદથી રાજય વેરા અને કેન્દ્રીય વેચાણ વેરાની રકમો સરકારમાં જમા કરાવવાનુ બંધ કરી દીધું હતું. વર્ષ-2015 સુધીમાં આ રકમ રૂૂ.28 કરોડે પહોંચી ગઈ હતી.
આ મુજબનો વાણીજય વેપાર હોવા છતા કંપની ફડચામાં ગઈ હતી. વર્ષ-2015 અને 2019 માં રાજય વેરા કમિશ્નરે રીકવરીની નોટીસો આપેલી હતી તેમ છતા સરકારમાં રકમ જમા ન કરવાથી તેઓની સામે ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. જે ગુનામાં સંડોવાયેલા આરોપી જયેન્દ્ર રસીકભાઈ બાવરીયા (ઉ.વ.60) અને કંચનબેન રસીકભાઈ બાવરીયા (ઉ.વ.82)એ સેશન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરી દલીલો કરેલ હતી સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ.કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, કંચનબેન બાવરીયાએ વર્ષ-2011 માં અનિયમીત રીતે રાજીનામુ આપેલ છે. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અર્ફેસના ઓન-લાઈન પોર્ટલ ઉપર કંચનબેને રાજીનામુ મોકલાવેલ પરંતુ રાજકોટ ખાતેની કમિશનર ઓફિસમાં આવા કોઈ રાજીનામાની ઈરાદાપુર્વક જાણ કરેલ ન હતી અને તે રીતે આ કંપનીએ કરચોરી ચાલુ રાખેલ હતી. વર્ષ-2019 સુધી કંચનબેન બાવરીયાને સરકારી ખાતા તરફથી જે નોટીસ મોકલાતી તે નોટીસ કંપનીની કોર્પોરેટ ઓફીસમાં સ્વીકારવામાં આવતી હતી.
આ હકિકત સ્પષ્ટ કરે છે કે સરકારી રેકર્ડ ઉપર પોતે ડીરેકટર ન હોવાનુ જણાવે છે જયારે જાહેર જનતા સમક્ષ પોતે ડીરેકટર હોય તે રીતે ઈરાદાપુર્વક વર્તે છે. આ સમગ્ર વ્યવહાર વેરાની ચોરી કરવા માટે અપનાવવામાં આવેલ છે. આ પ્રકારના આરોપીઓ જયારે કાયદાના પ્રબંધોનો ગેરલાભ ઉઠાવવા માંગતા હોય ત્યારે આગોતરા જામીન નકારવા જોઈએ, જેથી પોલીસ તપાસ અસરકારક રીતે થાય. 28-કરોડની વેરા ચોરીના આ કેસમાં આરોપીઓ પાસેથી એક પાઈની પણ રીકવરી થઈ શકેલ નથી ત્યારે આવા આરોપીઓને આગોતરા જામીન ઉપર મુકત કરવામાં આવે તો જાહેર જનતાના આ નાણાની કયારેય રીકવરી થઈ શકે નહી. આ નાણા સામાન્ય નાગરીકોએ સરકારમાં જમા કરાવેલ રકમ છે અને તેથી આવા નાણાની કોઈ 2-4 વ્યકિત ઉચાપત કરી પોતાનુ જીવન આપણા ભોગે સાહયબીથી જીવે તે ન્યાયોચીત નથી.
7વર્ષથી ઓછી સજાવાળા ગુનાઓમાં આરોપીઓને જામીન આપવા તેવો સુપ્રિમ કોર્ટનો ચુકાદો છે, પરંતુ આ ચુકાદો જાહેર નાણાની રીકવરીના કિસ્સામાં લાગુ કરી શકાય નહી. પુર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમનો કેસ ટાંકી સરકાર તરફે રજુઆત કરવામાં આવેલ હતી કે આ નાણામંત્રીને પણ પોલીસ તપાસ પુર્ણ થઈ ત્યાં સુધી જામીન આપવામાં આવ્યા ન હતા. સરકાર તરફેની રજુઆતોને ધ્યાને લઈ અધિક સેશન્સ જજ સી.જે. પટેલે જ્યેન્દ્ર બાવરીયા અને કંચનબેન બાવરીયાની આગોતરા જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.