વડોદરામાં રંજનબેન વિરોધી પોસ્ટરો લાગતા ભાજપમાં દોડધામ
- અંતે ભાજપમાં છુપો રોષ સપાટી ઉપર આવ્યો, રાત્રે અંધારામાં પોસ્ટર અને બેનર લાગી ગયા, સવાર પડતા જ ઉતારી લેવાયા
વડોદરા જિલ્લાની સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામાના રાજકીય ડ્રામાનો હજુ અંત જ આવ્યો છે. ત્યાં વડોદરા ભાજપમાં નવું ભવંડર ઉભુ થયુ છે અને ભાજપે લોકસભામાં રીપિટ કરેલા ઉમેદવાર રંજનબેન ભટ્ટ સામે કાર્યકરોમાં પ્રવર્તલો છૂપો રોષ રાત્રીના અંધારામાં બહાર આવ્યો છે અને વડોદરામાં રંજનબેન ભટ્ટ વિરોધી પોસ્ટરો બેનરો લગાવવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
મળતી માહિતી મુજબ ગત રાત્રે વડોદરામાં કારેલીબાગના કેટલાક વિસ્તારોમાં અચાનક જ રંજનબેન ભટ્ટનો વિરોધ કરતા પોસ્ટરો અને બેનરો લાગી જતા ભાજપના નેતાઓએ પોસ્ટરો હટાવવા દોડધામ કરી મુકી હતી.કારેલીબાગ વિસ્તારમાં આવેલ સોસાયટીઓના નાકા પર રંજનબેન વિરુદ્ધના બેનરોથી વિવિધ ચર્ચાઓ શરૂૂ થઇ છે. જેમાં ગાંધીપાર્ક, વલ્લભપાર્ક, જાગૃતિ, ઝવેરનગર, લલ્લુભાઈ પાર્ક અને સંગમ સોસાયટીની બહાર બેનરો જોવા મળ્યા છે. જેમાં બેનરો વ્હાઇટ બેગ્રાઉન્ડમાં કાળા અક્ષરોમાં ચિતરવામાં આવ્યા છે. જેમાં બેનરોમાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધનું લખાણ છે. સોસાયટીઓ બહાર લગાવેલા બેનરોમાં જોવા મળ્યા જેમાં પ્રથમ પાંચ વર્ષ ત્રીકમ, બીજા પાંચ વર્ષ પાવડો અને હવે શું જેસીબી? તેવું લખ્યું છે.
સત્તાના નશામાં ચૂર ‘ભાજપા’ કોઈને પણ ઠોકી બેસાડશે વડોદરાની જનતાની નિ:સહાય, કેમકે જનતા મોદી પ્રિય છે. મોદી તુજસે વેર નહી રંજન તેરી ખેર નહીં. વડોદરાને વિકાસ ક્યાં ગયો, કોના ઘરમાં કે ગજવામાં ? જનતા માગે છે તપાસ. પ્રથમ પાંચ વર્ષ ત્રીકમ, બીજા પાંચ વર્ષ પાવડો અને હવે શું જેસીબી ? ના બેનરો લાગ્યા છે.રાતના અંધારામાં લાગેલા આ પોસ્ટરો સવાર પડતા જ ઉતરી ગયા હતા. ભાજપના નેતાઓને પોસ્ટરો લાગ્યાની જાણ થતા જ બેનરો ઉતારવા દોડધામ કરી મુકી હતી.ઉલ્લેખનીય છે કે, ભાજપે રંજનબેન ભટ્ટને ફરી ટિકિટ આપતા કાર્યકરોમાં ભારો રોષ પ્રવર્તી રહ્યો છે અને જયોતિબેન પંડયાએ બળવાનો સૂર વ્યકત કરતા જ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હવે ફરી છૂપો રોષ બહાર આવ્યો છે.