રાજકોટમાં વધુ એક યુવકને ભરખી જતો હૃદયરોગનો હુમલો
રાત્રીના જમતી વેળાએ બેભાન હાલતમાં ઢળી પડેલા યુવાનને સારવારમાં ખસેડાયો પણ જીવ ન બચ્યો
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકે ઉપાડો લીધો હોય તેમ દિન પ્રતિદિન બનાવો વધી રહ્યા છે. શહેરમાં વધુ એક બનાવમાં રેલનગર વિસ્તારમાં મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં રહેતા યુવકનું હાર્ટએટેકથી મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રેલનગર વિસ્તારમાં મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં રહેતા રોહિત દિનેશભાઇ ત્રિવેદી નામનો 23 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યાં રાત્રીના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવાનને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્રનગર પોલીસને જાણ કરતા પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક રોહિત ત્રિવેદી બે ભાઈ એક બહેનમાં નાનો હતો. અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના બે વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. હાલ તેની પત્ની ધારાબેન ગર્ભવતી છે. યુવકનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પ્રનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.