નશાબંધી મંડળના ટ્રસ્ટીઓ દ્વારા વધુ 13 કરોડનું કૌભાંડ
રાજ્ય સરકારના 5ૂર્વ અધિકારી, કાર્યકારી મંત્રી સહિતનાએ અત્યાર સુધીમાં 26 કરોડથી વધુની ગેરરીતી આચર્યાનો આક્ષેપ
શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી નશાબંધી મંડળની ગુજરાત એકમના કેટલાંક ટ્રસ્ટીઓ, કાર્યકારી મંત્રી સહિત સભ્યોએ ભેગા મળીને સરકારી ગ્રાંટનો ગેરવહીવટ કરીને 13 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે.જેમાં પૂર્વ શિક્ષણમંત્રી કરસનદાસ સોનેરી, રાજ્ય સરકારના પૂર્વ અધિકારી કે.પી.વાઘેલા અને મંડળના કાર્યકારી મંત્રી જીતેન્દ્ર અમીન સહિતના ટ્રસ્ટીઓના નામ છે તેમણે ફ્ંડમાં ગેરરીતિ આચરીને નશાબંધી મંડળ સાથે અત્યાર સુધી કુલ 26 કરોડથી પણ વધુ રૂૂપિયાનું નુકસાન પહોચાડયા હોવાનો આરોપ મૂકાયો છે.
જેમાં સાત વર્ષના ઓડિટ એક વર્ષમાં કરીને ગોટાળા કર્યા હોવાનું સામે આવ્યુ છે.
આ કેસમાં નશાબંધી મંડળના પ્રમુખે સમગ્ર મામલે ચેરિટી કમિશનરમાં ફરિયાદ કરીને હાઇકોર્ટમાં પીઆઇએલ પણ દાખલ કરી છે. નશાબંધી મંડળ ગુજરાતના પ્રમુખ વિવેક દેસાઇએ જણાવ્યુ હતુ કે મંડળના કેટલાંક ટ્રસ્ટીઓ, કાર્યકારી મંત્રી અને સભ્યો દ્વારા 26 કરોડથી વધુ રૂૂપિયાની ગેરરીતિ આચરાઈ છે. તેમાં ટ્રસ્ટીઓમાં રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી કરસનદાસ સોનેરી, પૂર્વ અધિકારી કે.પી.વાઘેલા અને કાર્યકારી મંત્રી જિતેન્દ્ર અમીન દ્વારા સત્તાનો દૂર ઉપયોગ કરીને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આવતી ગ્રાંટનો દુરુપયોગ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 2021માં તે નશાબંધી મંડળ ગુજરાતના પ્રમુખ તરીકે જોડાયા ત્યારે તેમના ધ્યાનમાં સમગ્ર બાબત આવી હતી કે કરશનદાન સોનેરી, કે પી વાઘેલા અને જિતેન્દ્ર અમીન ટ્રસ્ટના નિયમ વિરુદ્ધ કામ કરી રહ્યાં છે. મંડળના તાબામાં આવતી પાલનપુર, રાજકોટના વિરનગર, અમદાવાદ, સુરત અને મહુધામાં હોસ્પિટલમાં આવેલા નશામુક્તિ સેન્ટરના ખર્ચ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રૂૂ. 2.11 કરોડની ગ્રાન્ટ દરવર્ષે આપવામાં આવે છે.
પરંતુ આ ગ્રાંટનો યોગ્ય ઉપયોગ ન કરીને પોતાના વાહનોમાં ઈંધણ સહિતના ખર્ચમાં વાપરતા હતા.
કર્મચારીઓના પગારને લઇને પણ વિવાદ થયો છે. જેમાં કર્મચારીઓને પગાર ધોરણ પ્રમાણેના નાણાં ચુકવાતા નથી આ મામલે 17 જેટલા નિરીક્ષકોને નોકરીમાંથી છુટા કરાયા છે. સમગ્ર મામલે મંડળના પ્રમુખ અને ટ્રસ્ટી એવા વિવેક દેસાઇ અને અચ્યુતભાઇ બેરેનોટ સહિતના કેટલાક ટ્રસ્ટીઓએ વિરોધ કરતા બહુમતીના જોરે તેમને પ્રમુખપદેથી હટાવવાનો ઠરાવ પસાર કરવાની સાથે ખોટા સિક્કાઓ મારીને બેન્કમાં તેમની સહિ ન ચાલે તેવા નિર્ણય લીધા હતા. હાલમાં આ મંડળમાં કુલ 14 ટ્રસ્ટીઓ છે. જ્યારે આગામી ઓડિટ દરમ્યાન વધુ કૌભાંડ સામે આવે તેવી શક્યતાઓ છે.
વર્ષ 2013માં ટ્રસ્ટીઓએ રાણીપમાં વિવાદાસ્પદ જમીન ખરીદવા માટે પ્રકાશચંદ્ર અગ્રવાલ સાથે સોદો કરીને રૂૂ. 13 કરોડ ચુકવી દીધા હતા. જો કે હજુ સુધી આ જમીન નશાબંધી મંડળને મળી નથી. એટલું જ નહી આ જમીન સરકારે જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે ક્રાઇમ બ્રાંચમાં ગુનો પણ દાખલ કરાયો છે. જીતેન્દ્રભાઇ અને કે.પી.વાઘેલાની નિમણૂક ગેરકાયદેસર રીતે થઇ હોવાનો આક્ષેપ પ્રમુખે કર્યો છે. જેમાં કરસનદાસ સોનેરીએ તેમની નિમણૂક કરાવી હોય તેવો આક્ષેપ કર્યો છે. જો કે આ કેસની તપાસમાં સમગ્ર હકીકત સામે આવી શકે છે. નશાબંધી મંડળનું બેન્કમાં એકાઉન્ટ હતુ જેમાં પ્રમુખ વિવેક દેસાઇની સહીઓ પણ ચાલતી હતી પરંતુ તે સહિઓ નાબૂદ કરવા માટે ત્રણેયે બેન્કકર્મીઓને પણ ધમકાવીને સહી નાબૂદ કરાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે નશાબંધી મંડળના પ્રચાર-પ્રસાર માટે કર્મચારીઓનું મહેકમ પણ નક્કી કર્યું છે. સરકારે આ કર્મચારીઓનું પગારધોરણ નક્કી કર્યું છે તે 1997થી ચુકવાયું નથી. આમ કર્મચારીઓનો પગાર પણ ટ્રસ્ટીઓ ચાંઉ કરી ગયા હોવાની શંકા છે. જે નિયોજકો આ કામ કરે છે તેમને પણ છૂટા કરી દેવામાં આવ્યા છે.