સાબર ડેરીમાં ભાવફેરની રકમ ચૂકવવા સપ્તાહમાં જાહેરાત
બે દિવસથી ચાલતું આંદોલન સમેટાશે, સહકાર મંત્રી સાથેની મુલાકાત બાદ ચેરમેન-એમ.ડી.ની જાહેરાત
ગુજરાત મિરર, સાબરકાંઠા તા.16
સાબર ડેરીમાં દૂધના ભાવફેરની રકમ માટે દૂધ ઉત્પાદકો દ્વારા ચાલી રહેલા આંદોલનને પગલે રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સાથેની મુલાકાત બાદ ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ તથા એમડી સુભાષભાઈ પટેલે દૂધ ઉત્પાદકોને ધીરજ રાખવા અપીલ કરીને જણાવ્યું છે કે, ડેરીની સાધારણ સભામાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની દૂધ મંડળીઓના પ્રતિનિધિઓની હાજરીમાં નવા ભાવફેરની રકમ અંગે જાહેરાત કરાશે. છેલ્લા બે દિવસથી સાબર ડેરી સામે દૂધ ઉત્પાદકો આંદોલન ચલાવી રહ્યા છે અને ડેરીને દૂધ આપવાનું પણ બંધ કર્યું છે.
સાબર ડેરીના ભાવફેરથી નારાજ અરવલ્લી અને સાબરકાંઠાના દૂધ ઉત્પાદકોએ આંદોલનનો પ્રારંભ કર્યો હતો. સોમવારે સવારે ડેરી આગળ એકઠા થયેલા દૂધ ઉત્પાદકોએ સાબરડેરીનો મુખ્ય પ્રવેશદ્વાર તોડીને ડેરી પરિસરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો.
ઉપરાંત પથ્થરમારો કરતાં ચાર પોલીસકર્મીઓને ગંભીર ઇજાઓ થઇ હતી ભીડ કાબુ બહાર જતાં પોલીસે લાઠીચાર્જ તથા ટીયરગેસના સેલ છોડી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એમ.ચૌધરીએ બાયડના જશુભાઈ શિવાભાઈ પટેલ સહિત 74થી વધુ આગેવાનોના નામ જોગ તેમજ 1000થી વધુના ટોળા સામે ફરિયાદ દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. પોલીસે 47થી વધુની અટકાયત પણ કરી છે. જેમને મંગળવારે હિંમતનગરની કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. દૂધ ઉત્પાદકોના આંદોલનના પગલે ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ સહિતે મંગળવારે મંત્રી જગદીશ વિશ્વકર્મા સાથે બેઠક કરીને તેમની સાથે સંપૂર્ણ અહેવાલ સાથે ચર્ચા કરી હતી. ત્યાર બાદ તેમણે દૂધ ઉત્પાદકોને ભાવફેર અંગે ધીરજ રાખવા અપીલ કરી હતી.
ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ તથા એમડી સુભાષભાઈ પટેલે જણાવ્યું હતું કે, દૂધ ઉત્પાદકોમાં ભાવફેરની રકમ અંગે જે ગેરસમજ ઊભી થઈ છે અને કેટલાક લોકો તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પરંતુ આગામી એક સપ્તાહમાં ડેરીના હિસાબોનું ઓડિટ કામ પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ સાબર ડેરીને મળી જશે અને આગામી સમયમાં યોજાનાર સાધારણ સભામાં દૂધ મંડળીઓના પ્રતિનિધિઓની હાજરીમાં નવા ભાવફેરની રકમ અંગે જાહેરાત કરાશે.