આજી ડેમમાં નહાવા પડેલા વૃદ્ધનું ડૂબી જતાં મોત
આજી ડેમ ચોકડી પાસે ભીમરાવનગરમાં રહેતા વૃધ્ધ આજી ડેમમાં ન્હાવા ગયા બાદ પાણીમાં ડૂબી જતાં તેમનું મોત નિપજ્યું હતું. ગઈકાલે સાંજે ઘરેથી નીકળ્યા બાદ પરત નહીં આવતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આજે સવારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, ભાવનગર રોડ પર આવેલા ભીમરાવનગરમાં રહેતા દેવનાથ ઠગભાઈ મહંતો (ઉ.62) નામના વૃધ્ધ ગઈકાલે સાંજે ઘરેથી નીકળી આજી ડેમમાં ન્હાવા ગયા હતાં. દરમિયાન પરત નહીં આવતાં પરિવારજનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. બાદમાં આજે સવારે આજી ડેમમાં પાણીમાંથી તેમનો મૃતદેહ મળી આવતાં પરિવારજનો અને આજી ડેમ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધ મજુરી કામ કરતાં હોવાનું અને તેમને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી.