માધાપરની 50 કરોડની સરકારી જમીન પર કબજો કરવાનો પ્રયાસ
રાજકોટ શહેરના વિકાસ હરણફાળ ગતિએ આગળ વધી રહ્યો છે ત્યારે ભુમાફીયાઓ દ્વારા સરકારી જમીનો પર કબજા કરી બારોબાર વેચી નાખતા હોવાનું જિલ્લા કલેકટર પ્રભવ જોષીના ધ્યાન પર આવતાં સરકારી જમીન પર થયેલાદબાણો દૂર કરવા ઝુંબેશ શરૂ કરાવી છે. જેમાં તાજેતરમાં જ માધાપર ખાતે આવેલ સર્વે નં.111 પૈકીની 50 કરોડની સરકારી જમીન પર થયેલ દબાણ પર બુલડોઝર ફેરવી દીધા બાદ ફરી ભુમાફીયાઓએ સરકારી જમીન કબજો કરવાનો પ્રયાસ કરી ફેન્સીંગ મારતાં હોવાનું તાલુકા મામલતદારના ધ્યાન પર આવતાં આજે ફરી ડિમોલીશન હાથ ધરી સરકારી જમીન કબજો કરે તે પહેલા જ દબાણો દૂર કરી નાખવામાં આવ્યા હતાં.
રાજકોટ શહેરની ભાગોળે આવેલી કિંમતી સરકારી જમીનો પર દબાણ કરી ઝુંપડા, દુકાન, મકાન બનાવી અમુક ભુમાફીયાઓ બારોબાર વેચી નાખતા હોવાનું તંત્રના ધ્યાન પર આવતાં જિલ્લા કલેકટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ તમામ મામલતદારો દ્વારા સરકારી જમીન પર થયેલ દબાણ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.
રાજકોટની ભાગોળે માધાપરથી એઈમ્સ જવાના રસ્તે આવેલ સરકારી જમીન સર્વે નં.111 પૈકીની 50 કરોડની કિંમતની 16 એકર સરકારી જમીન પર દબાણો થઈ જતાં તંત્ર દ્વારા બે માસ પહેલા સરકારી જમીન થયેલા દબાણ પર બુલડોઝર ફેરવી દઈ કિંમતી જમીન ખુલ્લી કરાવી હતી. પરંતુ ફરી અમુક ભુમાફીયાઓ જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવાનું તંત્રનાં ધ્યાન પર આવ્યું હતું.
તાલુકા મામલતદાર કે. એચ. મકવાણાએ તપાસ કરાવતાં 50 કરોડની કિંમતની 16 એકર સરકારી જમીન પર મુકેશ નાથાભાઈ સહિતના શખ્સો દ્વારા ગેરકાયદેસર કબજો કરી ફેન્સીંગ મારવાની કામગીરી શરૂ કરી હોવાનું ધ્યાન પર આવતાં તાલુકા મામલતદાર મકવાણાના માર્ગદર્શન હેઠળ ના.મામલતદાર રઘુવીરસિંહ વાઘેલા, તલાટી નિલેશભાઈ વાઘેલા સહિતનો કાફલો આજે જેસીબી સાથે ઘટના સ્થળે દોડી જઈ સરકારી જમીન પર થઈ રહેલ દબાણ પર બુલડોઝર ફેરવી દઈ ફેન્સીંગ અને કાંટાની વાડ દૂર કરી હતી.