સાવરકુંડલા હીરા બજારનો એજન્ટ 10 કરોડના હીરા સાથે બે દિવસથી લાપતા
- બે દિવસથી મોબાઇલ સ્વિચ ઓફ આવતા વેપારીઓ પોલીસ પાસે પહોંચ્યા
- અમદાવાદ, સુરત અને મુંબઇના વેપારીઓનો કરોડોનો માલ ફસાયો
સાવરકુંડલામા હિરા બજારના એક કમિશન એજન્ટ છેલ્લા બે દિવસથી અચાનક ગુમ થઇ જતા તેના વાલી દ્વારા આ અંગે પોલીસને જાણ કરાઇ છે. જો કે અહીના હિરા બજારમા એવી ચર્ચા ઉઠી છે કે આશરે 10 કરોડના હિરા સાથે આ એજન્ટ ગુમ થયા છે.
કમિશન એજન્ટ અચાનક ગુમ થયાની આ ઘટના સાવરકુંડલામા બની છે. જયાં જયંતી કરશનભાઇ કથળીયા (ઉ.વ.40) નામનો યુવાન બે દિવસથી ગુમ થઇ ગયો છે. આ યુવાન હિરા માર્કેટમા કમિશન એજન્ટ તરીકે કામ કરતો હતો અને સાવરકુંડલાથી અન્ય શહેરોમા હિરાની લેવડ દેવડનુ કામ પણ સંભાળતો હતો. 15 માર્ચના રોજ આ યુવાન સવારે ટ્રેન મારફત મુંબઇથી સાવરકુંડલા આવ્યો હતો. અને સાંજના છ વાગ્યા બાદ અચાનક સંપર્ક વિહોણો થઇ ગયો હતો.
સગા સંબંધીઓ દ્વારા આસપાસના વિસ્તારમા તપાસ કરાઇ પરંતુ તેનો પતો ન મળતા પિતા કરશનભાઇ અને ભાઇ દિનેશભાઇએ આ બારામા સાવરકુંડલા પોલીસને જાણ કરી છે. બીજી તરફ હિરા બજારમા એવી ચર્ચા ઉઠી છે કે આ યુવાન આશરે દસેક કરોડના હિરા સાથે ગુમ થયો છે. સાવરકુંડલા ઉપરાંત સુરત, પાલિતાણા, બોટાદ, જસદણ, મુંબઇ, અમદાવાદ સહિતના અનેક હિરા વેપારીઓનો માલ અટવાયો હોવાનુ કહેવાય છે. જો કે તેના પરિવાર દ્વારા પોલીસને આટલી રકમના હિરા અંગે કોઇ જ જાણ કરાઇ નથી. જેથી હકિકત શું છે તે તો યુવક સામે આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. કોઇ હિરા વેપારી પણ હજુ સુધી પોલીસ મથકે પહોંચ્યા નથી. પિતા કરશનભાઇ અને પુત્ર જયંતી અલગ અલગ રીતે હિરાનો વ્યવસાય કરે છે. પિતા કલરવાળા હિરાના વ્યવસાયમા તથા પુત્ર જયંતી સફેદ હિરાના વ્યવસાયમા બજારમા ધંધો કરે છે. જયંતી કળથીયા 15મી તારીખે સાંજે છ વાગ્યે ગુમ થયા બાદ તેનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે. તેના સગા સંબંધીઓ અને મિત્રો સુધીની તપાસમા પણ હજુ તેની ભાળ મળી નથી.