સિવિલમાં દવાની અછત વચ્ચે ગોડાઉનમાં લાખોનો જથ્થો પલળી ગયો
ગુજરાત મેડીકલ સર્વિસ કોર્પોરેશનના ગોડાઉનમાં વહિવટ, કિંમતી દવાઓ ભરેલા ટ્રકોની લાઈન, ખુલ્લામાં પડેલી દવાઓ પલળી જતાં મોટુ નુકસાન
એક તરફ રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં દવાઓની અછત છે, તો બીજી તરફ (ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ)ના ગોડાઉનમાં કરોડો રૂૂપિયાનો દવાનો જથ્થો વરસાદમાં પલળી રહ્યો હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.
છેલ્લા એક અઠવાડિયાથી ગોડાઉનની બહાર દવાઓ ભરેલા ટ્રક ઉભા છે અને વરસાદના કારણે દવાઓના બોક્સ પલળી ગયા છે. ગોડાઉનમાંથી દવાનો જથ્થો જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સપ્લાય થઈ રહ્યો હતો ત્યારે પણ કોઈ જવાબદાર અધિકારી હાજર ન હતા. મજૂરો અને સિક્યુરિટીના માણસોએ જણાવ્યું કે કોઈ અધિકારી હાજર નથી અને તેઓને માત્ર 800 બોક્સ મોકલવાનું કહેવામાં આવ્યું છે. ઙઉઞ હોસ્પિટલના સ્ટોર ઇનચાર્જ ડો. જે.કે. નથવાણીના નિવેદન મુજબ, હાલમાં સિવિલ હોસ્પિટલમાં 714 જેટલી દવાઓ ઉપલબ્ધ નથી. જેમાં કેલ્શિયમ, ડાયાબિટીસ, ઉધરસ, અને ચામડીના રોગની દવાઓનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે એપ્રિલ મહિનાથી આ દવાઓની માગણી કરવામાં આવી હોવા છતાં, હજુ સુધી તે સિવિલ સુધી પહોંચી નથી. આ સ્થિતિમાં ગરીબ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ તેઓને દવાઓ મળતી નથી અને બીજી તરફ ગોડાઉનમાં કરોડોની દવાઓનો બગાડ થઈ રહ્યો છે.
કોઈ પણ જવાબદાર અધિકારીની હાજરી વગર દવાનો આટલો મોટો જથ્થો કેવી રીતે સપ્લાય થઈ રહ્યો છે તે એક મોટો પ્રશ્ન છે. આ સમગ્ર મામલે જવાબદાર કોણ? શું રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓ આ બેદરકારી સામે કડક કાર્યવાહી કરશે કે પછી આંખ આડા કાન કરશે? આખરે, ગરીબ દર્દીઓના જીવન સાથે જોડાયેલી આ કરોડોની દવાઓનું રખેવાળ કોણ છે?
ગાંધીનગર સુધી પડઘા પડ્યા, બે અધિકારીને રાજકોટ દોડાવાયા
રાજકોટના રેલવે જંકશન પાસે આવેલ ગુજરાત મેડિકલ સિર્વસ કોર્પોરેશનના ગોડાઉનમાં પડેલો લાખો રૂપિયાનો દવાનો જથ્થો પલળી જતાં ભારે દેકારો મચી જવા પામેલ છે અને આ અંગે ગાંધીનગર સુધી પડધા પડ્યા હોય તેમ આરોગ્ય વિભાગ પણ દોડતો થઇ ગયો છે. આરોગ્ય વિભાગ દ્વારા આ બેદરકારી ભરી ઘટનાની તપાસ માટે ડ્રગ્સ ખરીદી વિભાગના ડેપ્યુટી મેનેજર ડો. હિતેશ પ્રજાપતિ તથા વિહવટી વિભાગના જનરલ મેનેજર પીવી ગોંડલીયાને તપાસ માટે તાબડતોબ રાજકોટ દોડાવાયા હોવાનુ જાણવા મળે છે. આ બંને અધિકારીઓ દવાનો જથ્થો પલળી જવા માટે કોણ જવાબદાર છે. તે અંગે તપાસ કરી અહેવાલ ઉપરી અધિકારીઓને સોંપશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ આ રીતે લાખો રૂપિયાનો દવાનો જથ્થો પલળી ગયો હતો. પરંતુ આજ સુધી આ ઘટનામાં શું પગલા લેવા તે અંગે કોઇ હક્કીતો જાહેર કરાઇ નથી. ત્યારે આ વખતે ખરેખર પગલા ભરાશે કે તપાસનુ નાટક થશે તે જોવાનું રહ્યું