પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાના આક્ષેપ સાથે મચ્છી-મરઘીના ધંધાર્થીએ કર્યો આપઘાતનો પ્રયાસ
ગાંધીગ્રામ પોલીસ મથક પાસેની ઘટના; મકાન ખાલી કરાવવા ત્રણ મિત્રો ધમકી આપતા હોવાની રાવ
રાજકોટમાં રેલનગર વિસ્તારમાં આવેલ લાલ બહાદુર ટાઉનશીપમાં રહેતા અને મોટાભાઈ સાથે મચ્છી મરઘીની દુકાન ચલાવતા ધંધાર્થીને ત્રણ મિત્રોએ મકાન ખાલી કરવા ધમકી આપી દંપતી ઉપર હુમલો કર્યો હતો. જે ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી આપતા હોવાની ફરિયાદ પોલીસ નોંધતી નહિ હોવાના આક્ષેપ સાથે યુવાને ગાંધીગ્રામ પોલીસ મથક પાસે ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં આવેલ લાલ બહાદુર ટાઉનશિપમાં રહેતો ઈર્શાદ ફિરોજભાઈ કુરેશી નામનો 35 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યાના અરસામાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પાસે હતો ત્યારે ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર ઈર્શાદ કુરેશી તેના મોટાભાઈ સાથે ઘંટેશ્વર 25 વારીયામાં મચ્છી મરઘીનો ધંધો કરે છે ઈર્શાદ કુરેશીને મિત્ર યાસીન પડાયા, આસિફ પડાયા અને કુલદીપ દવે મકાન ખાલી કરવાની ધમકી આપતા હતા. બાદમાં દંપતી ઉપર છરી વડે હુમલો કર્યો હતો. જે અંગે નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી આપતા હોવાની પોલીસ ફરિયાદ નહીં નોંધતી હોવાના આક્ષેપ સાથે યુવાને પોલીસ સ્ટેશન નજીક જ ફીનાઇલ પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.