ચીની ન્યુમોનિયા સામે એલર્ટ, 19મીએ રાજ્યભરમાં મોકડ્રીલ
ચીનમાં બાળકોમાં ફેલાયેલ ભેદી ન્યુમોનિયાને પગલે ભારત સરકાર એલર્ટ થઈ છે અને વિદેશીઓની અવર જવર વાળા ગુજરાત સહિતના છ રાજ્યોને વિશેષ સતર્ક રહેવા સુચના આપેલ છે. ત્યારે ગુજરાત સરકારે આગામી તા. 19ના રોજ તમામ હોસ્પિટલો, મેડિકલ કોલેજો, કોર્પોરેશનોની હોસ્પિ’ટલોમાં કોવિડ-19ના ધોરણે મોકડ્રીલ યોજવા સુચના આપેલ છે. જેમાં તમામ હોસ્પિટલોમાં દવાનો સ્ટોક, સાધનો, બેડ, આઈસીયુ, સ્ટાફની વ્યવસ્થા સહિતની બાબતોની ચકાસણી કરવામા આવનાર છે.
કેન્દ્રની ગાઈડલાઈનને ધ્યાને રાખી રાજ્યના આરોગ્ય વિભાગે તમામ મનપાના આરોગ્ય અધિકારીઓ, જિ.પં.ના મુખ્ય આરોગ્ય અધિકારી, તમામ સિવિલ હોસ્પિટલો અને સંલગ્ન મેડિકલ કોલેજ વગેરેને કોવિડ-19 અન્વયે તા. 19 ડિસેમ્બરે મોકડ્રીલ યોજવા સૂચના આપી છે.
રાજ્યના આરોગ્ય વિભાગે પત્રમાં જણાવ્યું છે કે, ચીનમાં તાજેતરના અઠવાડિયામાં બાળકોમાં શ્વસનની બીમારી, ન્યુમોનિયા અને કોરોના વાયરસ 2ના કેસ સામે આવ્યા છે, આ બાબતને ધ્યાને રાખી ગુજરાતમાં બીમારીના ફેલાય તે માટે અગમચેતીના પગલાં હાથ ધરવા કહેવાયું છે, કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ તરફથી રાજ્ય સરકારને આ સંદર્ભે સૂચનાઓ આપવામાં આવી છે. જરૂૂર પડે તે સ્થિતિમાં દર્દીઓને સમયસર સારવાર પૂરી પાડી શકાય, જે તે હોસ્પિટલોમાં પીએસએ પ્લાન્ટ, લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટ, ઓ2 કોન્સનટ્રેટરની એચ.આર., લોજિસ્ટિક, બેડ કેપેસિટી, ટેસ્ટિંગ કેપેસિટી અને ટેલિમેડિસીનની ડ્રિલનું 17મી ડિસેમ્બર સુધી આયોજન કરવા સૂચનાઓ આપવામાં આવી છે. મોકડ્રીલ સહિત વિવિધ લેવાયેલા પગલાંની માહિતી જે તે હોસ્પિટલોએ સરકારના આરોગ્ય વિભાગને મોકલવાની રહેશે. રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલો ઉપરાંત તમામ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રો સહિત તમામને કોવિડ-19 અન્વયે મોકડ્રીલ યોજવા કહેવાયું છે.