આલેલે ... મીટર આધારિત પાણી પ્રોજેક્ટ બંધ છતાં મેન્ટેનન્સની દરખાસ્ત તૈયાર કરી નાખી
- ચંદ્રેશનગર ઝોન વિસ્તારમાં 45 હજાર ઘરોમાં મીટર ફિટ થયા બાદ પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવેલ, સંકલનના અભાવે ભાંગરો વાટ્યો
રાજકોટ શહેરમાં 24 કલાક મીટર આધારીત પીવાનું પાણી મળે તે માટેનો પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ચંદેશનગર વિસ્તારમાં 45 હજાર ઘરનો સમાવેશ કરવામાં આવેલ જેમાં મીટરફીટીંગ તેમજ ટેસ્ટીંગ સહિતનીકામગીરી પૂર્ણ થઈ ગયા બાદ પાણી ક્યાંથી આપવું તેવો પ્રશ્ર્ન ઉભો થતાં આ પ્રોજેક્ટ અભેરાઈ ઉપર ચડાવી દેવામાં આવેલ છતાં તંત્રએ જ આ મીટરના મેન્ટેનન્સ માટેની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીમાં રજૂ કરતા આ દરખાસ્ત પેન્ડીંગ રાખી શું મેન્ટેનન્સની જરૂર છે તેવું અધિકારીઓને પુછવામાં આવ્યું છે.
વોર્ડ નં. 11-13 સહિતના વિસ્તારોને જોડતા ચંદ3ેશનગર વિસ્તારના 45 હજાર ઘરોમાં 24 કલાક મિટર આધારીત પીવાનુંં પાણી આપવા માટેનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જેના માટે વિશ્ર્વબેંક દ્વારા 100 કરોડની ગ્રાન્ટ આપવામાં આવેલ આ પ્રોજેક્ટની અંતર્ગત તમામ ઘરોને લાગુ જૂની લાઈનો બદલી ડીઆઈ પાઈપલાઈન નાખી ઘરે ઘરે મીટર નાખવામાં આવે તેમજ સેરી-ગલી મીટર ફીટ કરી દેવાયેલ અને ત્યાર બાદ મીટર ટેસ્ટીંગ તેમજ પાણીના યુનિટના દર પણ નક્કી કરવામા આવ્યા હતાં. સમગ્ર પ્રોજેક્ટ ટુંક સમયમાં શરૂ થઈ જશે અને ત્યાર બાદ અન્ય વોર્ડમાં ચાલુ થઈ જશે તેમ જાહેરાત પણ કરવામાં આવેલ પરંતુ દરરોજ ઘરે ઘરે 20 મીનીટ પીવાનું પાણી આપવામાં પણ ફાફા પડતા હોય આ વિસ્તારની અલગ લાઈન નાખી 24 કલાક પાણી કેવી રીતે આપવું તે પ્રશ્ર્ને તંત્ર મુંઝાયુ હતું અને નક્કી કરાવમાં મોટો સમય વેડફાઈ જતાં અંતે પ્રોજેક્ટ અભેરાઈ ઉપર ચડાવી દેવામાં આવેલ અને આ મુદ્દે આજ સુધી વોટરવર્કસ વિભાગે મગનું નામ મરી પાડ્યું ન હતું છતાં હવે 45 હજાર ઘરોમાં ફીટ કરાવમાં આવેલ મીટર જૂના થઈ ગયેલ હોય તેનું મેન્ટેનન્સ સહિતના કામોનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત સ્ટેન્ડીંગમાં રજૂ કરવામાં આવતા સ્ટેન્ડીંગ સભ્યોને પણ આશ્ર્ચય થયું હતું અને આ કરવું જરૂરી છે કે કેમ તેવો પ્રશ્ર્ન પુછી દરખાસ્ત પેન્ડીંગ રાખી અધિકારીઓ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. આમ સંકલનના અભાવે બંધ પ્રોજેક્ટના મેન્ટેટન્સની દરખાસ્ત પણ અધિકારીઓએ કરી નાખી હતી.