રવિવારથી રાજકોટ-અમદાવાદ વચ્ચે હવાઇ સેવા
- બુધવાર સિવાય રોજ બપોરે ઉડશે, ઉદયપુર બાદ ઇન્દોરની ફલાઇટ પણ બંધ, સમર શેડયૂલ જાહેર
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા વિમાનોની આવા-ગમનનું ઉનાળુ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આગામી તા.1 એિ5્રલને રવિવારથી રાજકોટ-અમદાવાદ વચ્ચેના 200 કિલોમિટરના અંતર વચ્ચે વિમાની સેવાનો પ્રારંભ થનાર હોવાનું જણાવાયું છે. જ્યારે અગાઉ ઉદયપુરની ફલાઇટ અધ્ધવચ્ચે બંધ થયા બાદ ઇન્દોરની ફલાઇટ પણ સમર શેડયુલમાં બાકાત કરી દેવામાં આવી છે.
ઉનાળુ સમયપત્રક મુજબ રાજકોટ એરપોર્ટ ઉપર મુંબઇ, દિલ્હી, સુરત, અમદાવાદ, પૂના, બેંગલોર અને ગોવાની વિમાની સેવા માટે કુલ 12 ફલાઇટ આવ-જા કરશે જોકે, દિલ્હીની સવારની ફલાઇટનું કોઇ શેડયુલ જાહેર થયુ નથી.
એરપોર્ટ દ્વારા જાહેર કરાયેલ નવા સમયપત્રક મુજબ રાજકોટ-મુંબઇ વચ્ચે રોજ પાંચ ફલાઇટ યથાવત રાખવામાં આવી છે. જે મુજબ સવારે મુંબઇ-રાજકોટ વચ્ચે ત્રણ, બપોરે એક અને સાંજે એક ફલાઇટ યથાવત રહે છે. જ્યારે દિલ્હી-રાજકોટની સવાર અને સાંજની એક-એક ફલાઇટ યથાયત રખાઇ છે પરંતુ સવારે દિલ્હીની વધુ એક ફલાઇટ શરૂ કરવાની વાત હવામાં રહી ગઇ છે.
રાજકોટ-પૂના વચ્ચે અઠવાડીયામાં ત્રણ દિવસ અને રાજકોટ-ગોવા વચ્ચે અઠવાડીયામાં ત્રણ દિવસની વિમાની સેવા યથાવત રાખવામાં આવી છે. આજ રીતે રાજકોટ-બેંગલોર વચ્ચે પણ દરરોજ એક ફલાઇટ યથાવત રખાઇ છે. રાજકોટ-સુરત વચ્ચે ચાલતી 9 સીટની વિમાની સેવા પણ યથાવત રખાઇ છે. જ્યારે રાજકોટ-અમદાવાદ વચ્ચે 72 સીટનું એ.ટી.આર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ નવી ફલાઇટ બુધવાર સિવાય અઠવાડીયામાં છ દિવસ ચાલુ રહશે. આ ફલાઇટ બપોરે 3:30 વાગ્યે અમદાવાદથી રાજકોટ એરપોર્ટ ઉપર લેન્ડ થશે અને માત્ર 20 મિનિટમાં 3.50 કલાકે પરત અમદાવાદ જવા રવાના થશે.