અહો આશ્ચર્યમ, ગુજરાતમાં સૌથી વધુ ભિખારી રાજકોટમાં!
- સોમનાથ- દ્વારકા-અંબાજી જેવા ધર્મસ્થળો અને અમદાવાદને પણ પાછળ છોડયા
- વિધાનસભામાં સરકારે રજૂ કરેલા ચોંકાવનારા આંકડા, 33માંથી 26 જિલ્લા ભિખારીમુક્ત?
ગુજરાતમાં ઝડપાયેલા ભિખારીઓમાં સૌથી વધુ ભીખારી રાજકોટમાંથી ઝડપાયા છે. રાજયના સોમનાથ, દ્વારકા, અંબાજી, ડાકોર જેવા ધર્મસ્થળો કરતા પણ વધુ ભીખારી રાજકોટમાં હોવાની ચોંકાવનારી વિગતો આંકડાઓ પરથી જાહેર થઇ છે.આશ્ચર્યની વાત એ છે કે, દેશના સૌથી વિકસતા શહેર અમદાવાદમાં પણ રાજકોટ કરતા ઓછા ભીખારી મળ્યા છે. રાજ્યના 33માંથી 26 જિલ્લામાથી એક પણ ભીખારી પકડાયા નહીં હોવાનો દાવો કરાયો છે. જયારે પાંચ જિલ્લામાંથી જ 91 ટકા ભીખારી મળી આવ્યા હોવાનું જણાવાયું છે.
શેરીઓમાં ભીખ માંગવા બદલ પોલીસ દ્વારા કુલ 773 વ્યક્તિઓ ઝડપાયા હતા, જેમાં 2022-23 દરમિયાન રાજકોટમાં સૌથી વધુ ભિખારી પકડાયા હતા, ત્યારબાદ અમદાવાદ અને સુરતનો નંબર આવે છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પૂછવામાં આવેલા અતારાંકિત પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે ડેટા પૂરો પાડ્યો હતો. જે મુજબ 2022-23માં પકડાયેલા ભિખારીઓમાં ટોચના પાંચ જિલ્લાઓમાં 91% હિસ્સો હતો.
આ જ સમયગાળામાં, ડેટા દર્શાવે છે કે રાજકોટ, અમદાવાદ, સુરત, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં 252 ભિખારીઓ પકડાયા હતા.33 જિલ્લાઓમાંથી, 26 જિલ્લામાં એક પણ ભીખારી મળ્યો નહીં હોવાનું નોંધાયું છે જયારે ટોચના પાંચ જિલ્લા ઉપરાંત વડોદરામાં 21 અને બનાસકાંઠામાં ચાર ભિખારી ઝડપાયા હતા.ડેટા વધુમાં જણાવે છે કે ખેડા, જૂનાગઢ, કચ્છ, જામનગર અને પાટણ સહિતના આ 26 જિલ્લાઓમાં 1 એપ્રિલ, 2020 થી 31 માર્ચ, 2023 સુધીના છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં કોઈ ભિખારીની અટકાયત નોંધાઈ નથી.
ઉપરોક્ત સમયગાળામાં પકડાયેલા 773 ભિખારીઓમાંથી, આશરે 462 ભિખારીઓ માટે સરકારી આશ્રય ગૃહોમાં મૂકવામાં આવ્યા હતા. બાકીના 311ને ચેતવણી આપવામાં આવ્યા બાદ મુક્ત કરવામાં આવ્યા હતા, એમ સરકારે જણાવ્યું હતું.સરકારે ઉમેર્યું હતું કે, ભિખારીઓને પકડવા અને તેમને ભીખ માંગવાની પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી રોકવા માટે રાજ્યભરમાં નિયમિત ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. જો કે, કેટલાક સરકારી અધિકારીઓ, અનામી રીતે બોલતા, આ પગલાંની અસરકારકતા અંગે શંકા વ્યક્ત કરી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, અનધિકૃત ભીખ માંગવા પર અંકુશ લાવવાના પ્રયાસો છતાં, મંદિરો અને પર્યટન સ્થળો પર ભિખારીઓ વારંવાર જોવા મળે છે. સોમનાથ અને દ્વારકા નગરોમાં પણ, જ્યાં પોલીસ ચોવીસ કલાક ફરજ પર હોય છે, ત્યાં પણ ઘણા ભિખારીઓ મળી શકે છે.સ્ત્રસ્ત્ર અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે અમુક જિલ્લાઓમાં ભિખારીઓની હાજરી તેમની ગેરહાજરીના દાવાઓથી વિરોધાભાસી છે.